અંબાજીઃ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજીને શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપવામાં આવી છે. ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે 25મી મેના રોજ મોડી રાત્રે દેહત્યાગ કર્યો હતો. વર્ષોથી તેમણે અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો. માતાજીનો જન્મ વતન ચરાડા ખાતે વર્ષ 1928 દુર્ગાસતમીનાં દિવસે થયો હતો. તેમનું સાચું નામ પ્રહલાદભાઈ જાની હતું. માત્ર 11 વર્ષની ઉંમરે માતાજીએ અન્નજળ અને ગૃહ જીવનનો ત્યાગ કર્યો હતો. 91 વર્ષીય માતાજીએ તેમનાં ગામ ચરાડા ખાતે દેહ ત્યાગ કર્યો હતો. તેઓ દેવલોક પામતા 26 અને 27 તેમનો દેહ અંબાજી આશ્રમ ખાતે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો.


અંબાજી ખાતે આવેલ માતાજીના આશ્રમમાં વિધિ-વિધાન સાથે સમાધિ આપવામાં આવી છે. માતાજી ભાવિ ભક્તોને જે જગ્યાએ ફળ બનાવી આપતા હતા, તે જગ્યાએ આપવામાં સમાધિ આવી છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી, ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે. હાલમાં લોકડાઉન ચાર ચાલુ હોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોય છે ત્યારે ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર માતાજીના સમાધિ કાર્યક્રમમાં ભક્તોને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

2003 અને 2010માં ચુંદડીવાળા માતાજીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિજ્ઞાન ચુંદડીવાળા માતાજી સામે હારી ગયું હતું. ચુંદડીવાળા માતાજીનું અવસાન 26 તારીખના રોજ થયું હતું. આ પછી બે દિવસ માતાજીના પાર્થિવ શરીરને દર્શન માટે મુકવામાં આવ્યું હતું. 28 તારીખના રોજ માતાજીના આશ્રમ પર સંપૂર્ણ વિધિ વિધાનથી સમાધિ આપવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સૌથી પહેલાં રુદ્ર સુક્તથી અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ પંચ લેપન માતાજીના પાર્થિવ શરીર પર લગાવામાં આવ્યુ હતુ. ત્યારબાદ માતાજી ને શ્રૃગાર કરી તૈયાર કરવામાં આવ્યા હતાં અને પછી માતાજીને સમાધિ આપવામાં આવી હતી. માત્ર પરીવારના સભ્યો હાજર રહ્યા હતા અને માતાજીના સેવકો હાજર રહ્યા હતા. 1988થી ચૂંદડીવાળા માતાજીના આશ્રમ પર આવતાં જીતુભાઈ શાસ્ત્રીની હાજરીમાં સમાધિ આપવામાં આવી.