ગાંધીનગરઃ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તે બાદ ચર્ચાઓ થઇ રહી હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે, પરંતુ પોતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.


અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં? આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની કોઇ વાત નથી. અલ્પેશ ઠાકોરે પણ નિવેદન કરેલું છે અને અમારી સાથે પણ કોઇ વાત થઇ નથી. અલ્પેશ જ નહીં ઘણા લોકો કોંગ્રેસથી નારાજ છે અને પોતાની નારાજગી દેખાડી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા તેમનું ધારાસભ્યપદ છીનવા માટે ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. 7 જેટલા વકીલોની ટીમ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. મજબૂત કાયદાકીય લડત માટે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કોંગ્રેસ કાર્યવાહી શરૂ કરશે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ છીનવવા કોંગ્રેસ સોમવારે મેદાને ઉતરશે.

ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીને ECએ કેમ ફટકારી નોટિસ? જુઓ વીડિયો