ગાંધીનગર: આવતીકાલથી આગામી છ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી.  હવામાન વિભાગે આગાહી કરી કે, આવતીકાલથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.  તાપમાનના પારામાં બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે.  ગુજરાતમાં ક્યાં ઠંડી વીધી છે તો ક્યાંક ઠંડી ઘટેલી જોવા મળી હતી. નલિયામાં ઠંડીનો પારો એક ડિગ્રી ઉચકાતા 15 ડિગ્રી લઘુત્તમ તાપમાને પહોંચ્યો હતો.


છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે બનાસકાંઠામાં ખેડૂતો ચિંતિત છે. વાદળછાયા વાતાવરણથી પાકમાં રોગ આવવાની શક્યતા છે. રાયડો,ઈસબગુલ,એરંડા, બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ છે.  
 
છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે રાજકોટ જિલ્લાના ખેડૂતો ચિંતિત છે.  ધોરાજી પંથકના ખેડૂતોને ઘઉંનો ઉતારો ઓછો આવવાની છે આશંકા. બપોર બાદ ઉંચુ તાપમાન અને વહેલી સવારે સતત ધુમ્મસને કારણે ઘઉંના પાકને થઈ રહી છે અસર.  ઘઉંના દાણાનો વિકાસ નથી થતો. 


નલિયા 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જોકે, ઓખા 21.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 16 ડિગ્રી અને 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. 


દિલ્હી એનસીઆરમાં 5 ફેબ્રુઆરીથી વરસાદની ગતિવિધિઓ ઓછી થવા લાગશે અને 6 ફેબ્રુઆરી સુધીમાં હવામાન લગભગ સાફ થઈ જશે. શુક્રવારે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું અને લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે આ સિઝનની સરેરાશ કરતાં એક ડિગ્રી ઓછી છે.



હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા


હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા હવે લોકો માટે આફત સાબિત થઈ રહી છે. રાજ્યમાં રોહતાંગમાં ત્રણ ફૂટ અને નારકંડા, કુફરી, રોહરુ, ચૌપાલ અને મનાલીમાં અડધા ફૂટથી વધુ હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વીજળી, પાણી અને વાહનવ્યવહાર ઠપ્પ છે. તાજી હિમવર્ષાને કારણે રાજ્યમાં 475 રસ્તાઓ બંધ છે. તેમને ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


અપર શિમલા માટે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. બે દિવસથી સતત હિમવર્ષા અને વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લઘુત્તમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે. જ્યારે મહત્તમ તાપમાનમાં ત્રણથી સાત ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હિમાચલ પ્રદેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. હિમવર્ષાના કારણે માર્ગ પરિવહન નિગમની 75 જેટલી બસો ફસાઈ ગઈ છે.