Gujarat Hooch Tragedy: બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડની ઘટનામાં અત્યાર સુધી કુલ 36 લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ સાથે હાલ કુલ 87 લોકો સારવાર હેઠળ છે. આ ચકચારી ઘટના મુદ્દે હાલ ગુજરાતના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ચર્ચા કરવા માટે માંગ કરી છે.


શક્તિસિંહ ગોહિલે ત્રણ માંગ કરીઃ
શક્તિસિંહ ગોહિલે આવતીકાલે 27 જુલાઈ 2022ના દિવસે રાજ્યસભાના ઝીરો અવરમાં બોટાદમાં થયેલા લઠ્ઠા કાંડ અંગે ચર્ચા કરવા અને મુદ્દો ઉઠાવવા માટે રાજ્યસભાના સેક્રેટરી જનરલને નોટીસ આપીને માંગ કરી છે. આ સાથે શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે, આ લઠ્ઠાકાંડની ઘટનાની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ પાસે કરાવવી જોઈએ. આ સાથે ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને મંત્રીઓ સામે તરત જ એક્શન લેવા જોઈએ અને મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં આવે. આ ત્રણ માંગ સાથે આવતીકાલે રાજ્યસભામાં ચર્ચા કરવા માટે શક્તિસિંહ ગોહિલે નોટીસ આપી છે. 






લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક 36 પર પહોંચ્યોઃ
રાજ્યમાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે.  બોટાદમાં  25 અને ધંધુકામાં 11 લોકોના મોત થયા છે. આ સાથે 87 લોકો સારવાર હેઠળ છે.  લઠ્ઠાકાંડમાં મુખ્ય આરોપી જયેશની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. 


આ લઠ્ઠાકાંડમાં પોલીસે દિનેશ રાજપૂત નામના શખ્સની ધરપકડ કરી છે. દિનેશ રાજપૂત પોતાની  રીક્ષા દ્વારા જ આ કેમિકલને સપ્લાય કરતો હતો.  દિનેશ રાજપૂત નામના આ શખ્શે જયેશ નામના શખ્સને કેમિકલ વેચ્યું હતું. લઠ્ઠાકાંડ કેસમાં  અમદાવાદ પીપળજ તૈયાર થયેલા કેમિકલથી ઝેરી દારૂ બન્યો હોવાનું સામે આવ્યું છે. 90 લિટર કેમિકલ મંગાવ્યું હતું. અને અલગ અલગ કન્ટેનરમાંથી  600 લિટર કેમિકલ ચોરાયું હતું. આ ચોરાયેલા  કેમકલથી દારૂ બન્યો હતો.