રાજ્યમાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે.  બોટાદમાં  25 અને ધંધુકામાં 11 લોકોના મોત થયા છે. આ સાથે 87 લોકો સારવાર હેઠળ છે.  લઠ્ઠાકાંડમાં મુખ્ય આરોપી જયેશની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું.


લઠ્ઠાકાંડને લઈને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે,  તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. તમામ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. લઠ્ઠાકાંડ કેસમાં માત્ર 10 દિવસમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ  ફાઈલ કરાશે. આ કેસના તપાસની રિપોર્ટ સત્વરે ગૃહ મંત્રાલયને સુપ્રત કરાશે. ગૃહ વિભાગે તપાસ માટે  કમિટી બનાવી છે. આ સાથે જ ATS અને ચાર જિલ્લાની LCB પણ તપાસ કરી રહી છે.


મિથેનોલ સપ્લાય કરનાર જયેશની ધરપકડ કરી લેવામાં આવી છે. કેટલા સમયથી આ મિથેનોલ દારૂની જગ્યાએ મિશ્રણ કરીને આપવામાં આવતો હતો. તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડમાં મિથેનોલ પીવાથી એક બાદ એક મોત થઈ રહ્યા છે. અમદાવાદના પીપળજ પાસેની ફેક્ટરીમાંથી મિથેનોલ લઈ જવા માટે લોર્ડિગ ટેમ્પો એક જગ્યાએ પેટ્રોલ ભરાવવા ઉભો રહ્યો હતો. જેનાના સીસીટીવી સામે આવ્યા છે.


બરવાળા કાંડમાં પોલીસે દિનેશ રાજપૂત નામના શખ્સની ધરપકડ કરી છે. દિનેશ રાજપૂત પોતાની  રીક્ષા દ્વારા જ આ કેમિકલને સપ્લાય કરતો હતો.  દિનેશ રાજપૂત નામના આ શખ્શે જયેશ નામના શખ્સને કેમિકલ વેચ્યું હતું. લઠ્ઠાકાંડ કેસમાં  અમદાવાદ પીપળજ તૈયાર થયેલા કેમિકલથી ઝેરી દારૂ બન્યો હોવાનું સામે આવ્યું છે. 90 લિટર કેમિકલ મંગાવ્યું હતું. અને અલગ અલગ કન્ટેનરમાંથી  600 લિટર કેમિકલ ચોરાયું હતું. આ ચોરાયેલા  કેમકલથી દારૂ બન્યો હતો.
 
અમદાવાદ સિવિલમાં લઠ્ઠાકાંડના 12 દર્દીઓની  સારવાર ચાલી રહી છે.  જેમાંથી 6 દર્દીઓની હાલત સ્થિર અને 6 દર્દીઓનું ડાયાલીસીસ થઈ રહ્યું છે.  તમામ દર્દી ધંધુકાના આકરું, ઉચલી અને ખરાડ ગામના છે.