કોરોના કાળમાં એન્ટીબાયોટીક દવાના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, મોટાભાગના દર્દીઓ ડોકટરની પ્રિસ્ક્રિપ્શન વગર જ દવા લઈ રહ્યા છે. જેને લઈ અમદાવાદ મેડિકલ એસોસિેશનના પ્રમુખે દર્દીઓને ચેતવ્યા છે.


કોરોનાકાળમાં હોમ આઇસોલેટ થયેલા દર્દીઓમાં એન્ટીબાયોટિક દવાના વેચાણમાં વધારો નોંધાયો છે. અનેક દર્દીઓ ડોકટરના પ્રિ-સ્ક્રીપશન વગર દવાની ખરીદી કરતા હોવાનું અમદાવાદ મેડિકલ એસોસિએશનના ધ્યાને આવ્યું છે. તબીબોની સલાહ વગર કોઈ પણ દવા ઉપયોગમાં ન લેવા AMA એ દર્દીઓને સૂચના આપી છે. શરદી ખાંસી અને તાવના લક્ષણોમાં ડોકટરના કોઈ પણ પ્રકારના પ્રિસ્ક્રીપશન વગર જ દર્દીઓ દવાનો જથ્થો ખરીદી રહ્યા છે. પરિણામે એન્ટીબાયોટિક દવામાં 40 ટકાનો વધારો નોંધાયો છે.

કોરોના કાળમાં ડોકટરની સલાહ વગર જ દર્દીઓ એઝીથ્રોમાઈસીન, પેરાસીટામોલ, ડોલો, આઈવરમેક્ટિન જેવી દવાઓ જાતે જ લેતા હોવાની વિગતો સામે આવી છે.

નોંધનીય છે કે, એઝીથ્રોમાઇસીન ગળામાં દુખાવા માટે, એલ-ડાયો-1 શરદી માટે, પેરાસીટામોલ તાવ માટે, ડોલો 650 તાવ માટે, અને આઈવરમેકટિન દવા કોરોના સામે રાહત માટે ઉપયોગમાં લેવાય છે.