જામનગરમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જતું હોવાથી શહેરની ગ્રેઈન માર્કેટ તેમજ સ્ટેશનરીની દુકાનો 16થી 15 દિવસ માટે સવારે 8થી બપોરે 2 સુધી ચાલુ રાખવા વેપારીઓએ નિર્ણય લીધો છે. જામનગરમાં કોરોના બેકાબૂ બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી 100ની આસપાસ કેસો નોંધાઈ રહ્યાં છે.


જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ સાથે સાથે દર્દીઓના મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે શહેરની હાલની કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ જીતુભાઈ લાલ, માનદમંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા અને હોદેદારોએ વેપારીઓનો અભિપ્રાય લઈને આજે એટલે 16થી 30 સપ્ટેમ્બર સુધી ગ્રેઈન માર્કેટમાં વેપાર સવારે 8થી બપોરે 2 સુધી ચાલુ રાખવા નિર્ણય કર્યાંની જાહેરાત કરવામાં આવી છે.

આ દિવસો દરમિયાન બપોરે બે વાગ્યા પછી વેચાણ કે ડીલીવરી બંધ રાખવામાં આવશે. આ જ રીતે જામનગરના બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ મંડળ દ્વારા પણ આગામી 30 સુધી દુકાનોનો સમય સવારે 8થી 2 સુધી રાખવાનું જાહેર કર્યું છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક માસમાં કોરોનાની સારવાર દરમિયાન ગ્રેઈન માર્કેટની પેઢી ધરાવતા વેપારી પરિવારના ત્રણ ભાઈઓ તેમજ અન્ય એક ખજુર આયાત કરતી પેઢીના વેપારીના મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. જી જી હોસ્પિટલમાં કોરોનાનું બિહામણું રૂપ જોવા મળી રહ્યું છે. બે દિવસમાં 17 દર્દીઓના મૃત્યુ નિપજતાં ભારે હાહાકાર મચી ગયો છે. જ્યારે છેલ્લા 15 દિવસથી કોરોનાના 100થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સોમવારે વધુ 120 દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ સાથે 129 દર્દીઓને જીજી હોસ્પિટલમાંથી રજા પણ આપવા આવી છે.

કોરોનાનું લોકલ સંક્રમણ વધી ગયું છે, શનિવારે 103 અને રવિવારે 99 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે શનિવારે 105 અને રવિવારે 109 દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસમાં 33 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ કુલ 247 દર્દી બે દિવસમાં સાજા થઈને બહાર નીકળ્યાં હતાં.