અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મીનિટ માટે કોરોના વાયરસની સામે લડત ભાગરૂપે દીપ પ્રગટાવીને એકતા બતાવવા કહ્યું હતું. આ સાથે જ લોકોને ઘરની લાઈટો પણ બંધ કરવા અપીલ પણ કરવામાં આવી હતી. વડાપ્રધાનની આ અપીલને ગુજરાતમાં જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો. વેબપોર્ટલના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં લાઈટો બંધ કરી તેનાથી અંદાજે પાવરની લોડ 1800 મેગાવોટ જેટલો નીચો આવ્યો હતો.

વેબપોર્ટલના જણાવ્યા પ્રમાણે, ગરમી શરૂ થઈ છે અને રાત્રીના 9 વાગ્યે વીજ માગ વધતી હોય છે. એપ્રિલમાં આ દિવસોમાં સામાન્ય સંજોગોમાં ડિમાન્ડ 8600 મેગાવોટ જેટલી રહેતી હોય છે. તેની સામે આ રવિવારે ડિમાન્ડ રાત્રીના સમયમાં ઘટીને 6800 મેગાવોટ પર આવી હતી. દીપ પ્રાગટ્ય કાર્યક્રમથી ગુજરાતમાં અંદાજે 1800 મેગાવોટ જેટલી વીજળીની બચત થઈ હતી.

ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે તેનાથી બચવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યો છે જોકે કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતમાં સંક્રમિતની સંખ્યા 128 પર પહોંચી ગઈ છે જ્યારે 11 લોકોનાં મોત નિપજ્યાં છે.