ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 313 નવા કેસ નોંધાયા છે અને વધુ 17 લોકોના મોત થયા છે. જ્યારે આજે 86 દર્દીઓએ કોરાના ભરડામાંથી બહાર આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4395 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 214 થયો છે. સ્વાસ્થ્યમંત્રાલયે આ જાણકારી આપી હતી.


અમદાવાદમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલ કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 249 નવા કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 13, વડોદરા-19, ભાવનગર-4, આણંદ-3, ગાંધીનગર-10, પંચમહાલ- 10, મહેસાણા-3, અરવલ્લી અને દાહોદમાં એક-એક નવા કેસ સામે આવ્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાલકમાં વધુ 17 લોકોનાં મોત થયા છે. જેમાંથી પાંચના મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 12નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કના કારણે થયા છે. આજે અમદાવાદમાં-12, સુરતમાં- 3, વડોદરા અને આણંદમાં એક એક મોત થયા છે. કુલ મૃત્યુઆંક 214 પર પહોંચ્યો છે.


રાજ્યમાં કુલ 4395 કોરોના કેસમાંથી 33 દર્દી વેન્ટિલેટર પર છે અને 3535 સ્ટેબલ છે. મૃત્યુઆંક 214 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 513 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 64007 ટેસ્ટ થયા જેમાંથી 4395 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.