અમદાવાદ: કોરોનાવાયરસના કારણે કેન્દ્ર સરકારે 21 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે. આ આદેશને અનુલક્ષીને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)એ 1 એપ્રિલ, બુધવારથી શરૂ થતી પ્રેક્ટિકલ-થિયરી સમર એક્ઝામ-2020 કોરોનાને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે. આ પરીક્ષા મોકૂફ રહેતાં રાજ્યના 4 લાખ વિદ્યાર્થીઓને રાહત મળી છે અને હાલ પૂરતું પરીક્ષાનું ટેન્શન ટળ્યું છે.


જીટીયુએ રાજ્યમાં 450થી વધુ ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતના કોર્સની તમામ સેમેસ્ટરની પરીક્ષા મોકૂફ રાખવા પરિપત્ર મોકલી આપ્યો છે. આ પરીક્ષા 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપવાના હતા. જીટીયુની સમર એક્ઝામ 2020 માટેના સમયપત્રકની જાહેરાત પણ કરી દેવાઈ હતી. આ અંગેની વિગતો જીટીયુની વેબસાઈટ પર પણ મૂકાઈ હતી.  આ અંગે જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠે કહ્યું કે, કોવિડ-2019ને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી મોકૂફ રખાયેલી તમામ પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત જીટીયુની વેબસાઈટ પર કરાશે. તેમણે પરીક્ષાના તારીખો સાથેના નવા સમયપત્રક  અંગેની વિગતો માટે જીટીયુની વેબસાઈટ જોતા રહેવા માટેનો અમારો અનુરોધ કર્યો છે.