ગાંધીનગરઃ કોરોના વાયરસને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોનો મોટો ફટકો પડ્યો છે જ્યારે ગરીબોને બહુ મોટો ફટકો પડ્યો છે આ લોકોની મદદ માટે ઘણાં લોકો આગળ આવ્યા છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ, સંસ્થાઓ, કર્મચારીઓ સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે. ગુજરાતના મોટો મંદિરો પણ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે.




કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ગુજરાતના જાણીતા મંદિર સોમનાથ મંદિર ટ્રસ્ટે રૂપિયા 1 કરોડનું દાન કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં આ રકમ જમા કરાવવામાં આવશે. ત્રણ દિવસમાં 3500 જેટલા લોકોએ તથા સંસ્થાઓએ લાખો રૂપિયાનું દાન આપ્યું છે.



ગુજરાતના માહિતી અને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે ગાંધીનગર ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જાણીતી સંસ્થાઓ તરફથી દાન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. સંસ્થાઓની સાથોસાથ વ્યક્તિઓ પણ દાન આપી રહ્યા છે. આ દાનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. જ્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી છે.



રાજ્યના કુંડળ સ્વામી નારાયણ મંદિર તરફથી પણ રૂપિયા 25 લાખના દાનની જાહેરાત કરવામાં આવી. રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે જે લોકો ફંડ આપવા માંગે છે તે મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાં રકમ જમા કરાવી શકે છે. આ તમામ દાન ઈન્કમટેક્સની સેક્શન 80G અંતર્ગત કરમાંથી મુક્તિને પાત્ર છે. આમ લોકો ખુલ્લામને આગળ આવી અને દાન કરી શકે છે.



હવે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ રૂપિયા 1 કરોડ એક લાખનું દાન કરવામાં આવ્યું છે. આ રકમ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં દાન કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા ક્લેક્ટર સંદિપ સાગલે આ રકમનો ચેક આપ્યો હતો. આ રીતે અંબાજી મંદિર ટ્રસ્ટે મહામારી સામે લડવા માટે પોતાનું આર્થિક યોગદાન આપ્યું છે.



નમસ્તે મિત્રો કોરોનાની મહામારીમાં આવો આપણે બધાં એક બનીએ અને જે રૂપિયાથી ગરીબ છે અને જે રોજેરોજનું રોજેરોજ બનાવે છે એવા મિત્રોને આપણા ભારતીય બહેનોને અને પશુ-પંખીઓને આપણે જેટલી બને એટલી મદદ કરીએ તો આવો આપણે સૌ ભેગા મળીને એમને મદદ કરી અને પહેલું જ અનુદાનની જાહેરાત હું એટલે કે ઈશરદાન ગઢવી પરિવાર તરફથી 1,11,000 રૂપિયાનું અનુદાન આપું છું.