અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે જેને કારણે ગુજરાતમાં 47 પોઝિટિસ કેસ સામે આવ્યાં છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિસ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોના વાયરસના અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 8, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર અને કચ્છમાં કોરોના વાયરસનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 47 થયો છે.




આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાત કોરોના વાયરસના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 47 થઈ છે. રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા તેમાં 37 વર્ષના એક પુરુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના 2 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જેમાં 39 વર્ષના પુરુષ અને 33 વર્ષની મહિલા છે.



ડો. જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ડોર ટુ ડોર અને ટેલીફોનિક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજ સુધીમાં 3 કરોડ 98 લાખ 26 હજાર 12 નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્વેલન્સમાં ઉધરસ, તાવ, ઝાડા-ઊલટીની વિગતો તથા આંતરરાજ્ય અને આંતરદેશીય ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો લેવામાં આવે છે. દિવસ દરમિયાન કુલ 88 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના 33 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, બાકીના રિપોર્ટ પ્રક્રિયામાં છે.



કોરોના વાયરસના દર્દીઓ માટે રાજકોટની પીડીયુ હોસ્પિટલને ટેસ્ટિંગ માટે માન્યતા મળી ગઈ છે. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટ સહિત 6 સરકારી લેબોરેટરી અને 2 ખાનગી લેબોરેટરીમાં પ્રતિદિન અંદાજે 1000 જેટલા કોરોનાના ટેસ્ટિંગ થઈ શકશે.