અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 47 પોઝિટિસ કેસ સામે આવ્યાં છે. કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોના વાયરસના અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 8, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર અને કચ્છમાં કોરોના વાયરસનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 47 થયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.


ક્યાં ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્કુલેશન સર્જાવાના કારણે આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

બે દિવસ પહેલા વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ

બે દિવસ પહેલા જ અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વાતાવરણમાં પલટો આવવાથી કોરોના વાયરસ વધુ વકરે તેવી શક્યતા છે. ચાલુ વર્ષે ખેડૂતોની માઠી બેઠી હોય તેમ ચોમાસા બાદ પણ સતત કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ પડયા પર પાટું જેવી થઈ છે.

હવે કેરીની ખેતી કરતા ખેડૂતો રડશે ?

કમોસમી વરસાદના કારણે પહેલા કપાસ, મગફળી, તલનો પાક નિષ્ફળ ગયા બાદ ઘઉં, જીરુના પાક પર અસર થઈ હતી. હવે કમોસમી વરસાદથી કેરીની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવી શકે છે.