લંડનઃ યુ.કે.માં કોરાનાન નવા વાયરસે હાહાકાર મચાવ્યો છે અને દુનિયાના બીજા દેશોમાં પણ તેનો ચેપ લાગવાનો ખતરો છે. ભારતમાં પણ યુ.કે.થી આવનારા પ્રવાસીઓને કારણે ચેપ લાગવાનો ખતરો હોવાથી લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ સહિત 275 પેસેન્જરના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પૈકી 4 પેસેન્જર પોઝિટિવ મળતાં એસવીપીમાં દાખલ કરાયા છે. ચારમાંથી એકપણ પેસેન્જરને કોરોનાનાં લક્ષણ ન હતાં છતાં વાઈરસ લોડ બહુ ઊંચો આવતાં તબીબી નિષ્ણાતો પણ ચોંકી ઉઠ્યા છે.


આ ચારેય દર્દીમાં નવો વાયરસ છે કે નહીં તે ચાર દિવસ પછી ખબર પડશે. પોઝિટિવ પેસેન્જરમાં કોરોના વાઈરસનો યુકેમાં જોવા મળેલો નવો સ્ટ્રેઈન છે કે નહીં તે ચકાસવા બ્લડ સેમ્પલ પૂણે મોકલાશે. આ ચાર દર્દીમાં એસવીપીમાં દાખલ કરાયેલા ચાર દર્દીમાંથી બે દર્દી આણંદના છે. આણંદના દંપતિ ઉપરાંત એક દર્દી ભરૂચનો અને એક દીવનો છે. આ ચારેય દર્દી માટે એસવીપીમાં અલગ વોર્ડ છે. આ ચારેય દર્દીમાં નવા વાયરસનાં લક્ષણ છે કે નહીં તેની ખબર ચાર દિવસ પછી પડશે.

યુકેમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેઈન મળી આવતાં સરકારે તાજેતરમાં યુકેનો પ્રવાસ કરનારા લોકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) બહાર પાડી છે. કોરોના વાઈરસનું આ નવું સ્વરૂપ સૌથી વધુ યુવાપેઢીને અસર કરે છે અને તેનો ફેલાવો પણ ઝડપથી થાય છે. જો દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોય તો તેને હાલના પ્રોટોકોલ મુજબ આઈસોલેશનમાં મુકવામાં આવે છે. એ પછી જો ટેસ્ટ પરથી વાઈરસનું નવું સ્વરૂપ દેખાય તો અલગ આઈસોલેશન યુનિટમાં રખાશે.