અમદાવાદઃ કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે. દેશમાં કોરોના પીડિતની સંખ્યા 1000ની ઉપર પહોંચી ગઈ છે. ત્યારે ગુજરાતમાં પણ ધીમે ધીમે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ગીર સોમનાથના વેરાવળમાં 65 વર્ષના આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જ્યારે ગાંધીનગરમાં પણ એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. આ સાથે જ હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 55 થઈ છે. જ્યારે ગુજરાતમાં કુલ 4 વ્યક્તિઓએ આ વાયરસના સંક્રમણથી પોતાનો જીવ ગુમાવ્યો છે.




ગીર સોમનાથના વેરાવળમાં 65 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આધેડ મક્કાથી પરત આવ્યા હતાં. પહેલા આ આધેડને શંકાસ્પદ જણાતા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન પર રાખવામાં આવ્યા હાતં. જોકે હાલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ અને તંત્રમાં હડકંપ મચી ગયો છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 25 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ચેપ લોકલ ટ્રાન્સમીશનથી લાગ્યો હતો. આ સાથે જ ગુજરાતમાં કુલ 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં.



આ સાથે જ અમદાવાદમાં આજે કોરોનાથી બીજું મોત થયું હતું. 45 વર્ષીય મૃતક મહિલા બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસથી પણ પીડિત હતાં. આ સાથે જ અમદાવાદમાં કુલ 18, સુરતમાં 7, રાજકોટમાં 8, વડોદરા અને ગાંધીનગરમાં 9-9, ભાવનગર-1, કચ્છ-1, મહેસાણા-1 અને ગીર સોમનાથમાં પણ 1 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં સંક્રમણથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા 55 થઈ છે. મુખ્યમંત્રીએ કોરોના વાયરસની મહામારી સામે યુદ્ધના ધોરણે રાજ્યના દરેક જિલ્લામાં 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો આદેશ આપ્યો છે.