ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કોરોના વાયરસ નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 650 પર પહોંચી છે. આજે વધુ બે લોકોના મોત થયા મૃત્યુઆંક 28 થયો છે. જ્યારે કુલ 59 લોકો સાજા થયા છે.


રાજ્યમાં જે બે લોકોના મોત થયા છે તેમાં ભાવનગરના એક 50 વર્ષના પુરૂષ તેમને ડાયાબિટીશની પણ બિમારી હતી. જ્યારે વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલમા એક મોત થયું છે. જે જિલ્લાઓમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નથી તેવા જિલ્લાઓમાં પણ ટેસ્ટ કર્યા ત્યાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા નથી.

આરોગ્ય સચિવ જયંતી રવિના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1733 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 78 પોઝિટિવ બાકી બધા નેગિટિવ આવ્યા છે. હાલ 555 દર્દીઓ સ્ટેબલ છે, 8 વેન્ટીલેટર પર છે અને 59 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 15984 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ભાવનગરના એક પુરૂષ અને મહિલા સ્વસ્થ થયા છે, જ્યારે અમદાવાદમાં 28 વર્ષના મહિલા અને સુરતમાં એક પુરૂષ સ્વસ્થ થયા છે.



આરોગ્ય સચિવે જણાવ્યું કે સૌથી વધુ કેસ અમદાવાદમાંથી આવે છે. અમદાવાદમાં કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કેસની સંખ્યા વધી છે. તેને લઈને ચિંતા છે. અમદાવાદના કોટ વિસ્તાર અને દાણિલિમડા વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદનાં કોટ વિસ્તારમા આવતીકાલ એટલે કે બુધવારથી કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. કોટ વિસ્તારમાં કર્ફ્યૂ આગામી 21 તારીખ સુધી લાગુ થશે. કોટ વિસ્તાર અને દાણીલિમડા વિસ્તારમાં 15 તારીખથી લઈને 21 તારીખ સુધી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.