ગાંધીનગર: ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. ભાવનગરમાં વધુ બે કેસ સામે આવ્યા છે. વધુ બે પોઝિટિવ કેસ આવતા કુલ આંકડો 9 પર પહોંચ્યો છે જેમાં 2 લોકોના મોત થયા છે. બે મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બંને મહિલાઓ પ્રથમ કોરોના પોઝિટિવ મૃતકના સગા હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં નવા બે કેસ સામે આવતા ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 98 પર પહોંચી છે.  જ્યારે કુલ 9 મૃત્યુ નોંધાઇ ચુક્યા છે.


ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. કાલે ગુજરાતમાં કોરોના વાયરસના 7 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

રાજ્યમાં સૌથી વધુ કન્ફર્મ કેસ અમદાવાદમાં છે, જેનો આંકડો 38 છે. સૌથી વધુ 3 મૃત્યુ પણ અમદાવાદમાં જ થયા છે. આ ઉપરાંત, સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ અમદાવાદમાં 5 છે જે રાજ્યમાં સૌથી વધુ છે.

ગુજરાતમાં હવે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કાર્યક્રમ હેઠળ ચેપના અટકાવની કામગીરી કરી રહી છે. જે વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ નોંધાયા હોય તેવાં વિસ્તારોના ક્લસ્ટર બનાવવા માટે જીઆઇએસ મેપિંગનો સહારો લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જ આવાં 21 વિસ્તારોની ઓળખ કરી તેની ફરતે ત્રણ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને ક્લસ્ટર ઘોષિત કરાયાં છે.