ACCIDENT: અમરેલી એસટી ડેપો નજીક અકસ્માત સર્જાયો છે. અમરેલીથી ધારી તરફ જતી એસટી બસના ડ્રાઈવરે સાયકલ ચાલકને ટક્કર મારી હતી. એસટી બસ અને સાયકલ સાથે અકસ્માત થતા સાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. બસે સાયકલને ટક્કર મારતા લોકોના ટોળા ભેગા થયા હતા. અકસ્માતમાં સાયકલ ચાલકનું મોત થતા તેમના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવેલ છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકનું નામ બાવચંદભાઈ રૂડાભાઈ બાવીશી હતું અને તેમની ઉંમર 59 વર્ષની હતી. તેઓ અમરેલીના રહેવાસી હતા.


ગોંડલમાં લગ્ન પ્રસંગમાં જતા પરિવારને નડ્યો અકસ્માત


ગોંડલ તાલુકાના વાળધરીથી કોલીથડ વચ્ચે કાર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 1 મહિલાનું મોત થયું છે જ્યારે 2 ને ઈજા પહોંચી છે. રાજકોટ બાબરીયા કોલોની શેરી નં-૨માં રહેતા ગુલાબાનુબેન હનીફભાઈ ઘાડા તેમના પુત્ર રિયાઝ (ઉ.વ.22) તેમજ ભત્રીજા અકિલ(ઉ.વ.24) સાથે ડેયા ગામે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જતા હતા. તે દરમિયાન વાળધરીથી કોલીથડ રોડ પર  આવેલ ગોળાઈ પર ચાલક રિયાઝે કાર પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારતા કારમાં સવાર 2 યુવાન અને એક મહિલાને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે કોલીથડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન ગુલાબનુબેન હનીફભાઈ ઘાડા (ઉ.વ.42) નું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત 2 યુવાનો ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.  મૃતક મહિલાના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇ રિક્ષાઓમાં આગ લાગતા 20થી વધુ રિક્ષાઓ બળીને ખાક


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇ રિક્ષાઓમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાર્જ કરવા રિક્ષાઓ મૂકી હતી તે દરમિયાન આગની ઘટના સામે આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ આગમાં 20થી વધુ રિક્ષાઓ આગમાં સ્વાહા થઈ ગઈ છે. ગત મોડી રાતે આ ઘટનાં બની હતી. હાઈ વોલેટજના કારણે આગી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. તમને જણાવી દઈએ કે, કેવડીયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ- રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે. પિંક કલરની ઈ-રિક્ષાઓ એક્ટનગરીમાં 100 જેટલી રાખવામાં આવી છે. ત્યારે ગતરાત્રિના ચાર્જિંગ પોઇન્ટથી 35 ફૂટના અંતરે પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી અને 20 જેટલી ઈ-રિક્ષાઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી.


અમદાવાદમાં 31 ડિસેમ્બરથી શરૂ થશે ફ્લાવર શો


કોરોના સંક્રમણ વકરવાની આશંકા વચ્ચે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ફલાવર શો યોજાશે.  તો ફ્લાવર શોને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની ઉંમરના અને શાળાના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તો વયસ્ક મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 30 રૂપિયા રહેશે ફ્લાવર શો સમયે બપોરે 2 વાગ્યા સુધી અટલબ્રિજ ચાલુ રહેશે. 14 દિવસ સાંજના સમયે અટલબ્રિજ બંધ રાખવામાં આવશે. ફલાવર શો પૂર્ણ થયા બાદ અટલબ્રિજ ફરી શરૂ કરાશે. ફ્લાવર શોની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખવામાં આવી છે. 40 થી 45 જેટલા ફ્લાવર્સના સ્કલ્પચર બનાવાયા છે.  સાથે જ ફ્લાવર શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.