Cyclone Biparjoy: બિપોરજોયને અસર ગુજરાતના અન્ય ભાગોમાં થઈ છે પરંતુ વલસાડ જિલ્લામાં એની આડકતરી અસર જોવા મળી હતી. જે પ્રમાણે ડીપ ડિપ્રેશન વધતું ગયું તેમ તેમ વલસાડ જિલ્લામાં પવન ફૂંકાતો રહ્યો હતો અને દરિયા કિનારે ઊંચા મોજા ઉછડવાની સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો. હાલ વલસાડ જિલ્લામાં ઝાડ પાડવાની કે હોર્ડિંગ ફાટી જવાની ઘટનાઓ બની હતી. ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડતાં સતત વાતાવરણમાં પલટો થતો રહ્યો હતો.


તો બીજી  તરફ વલસાડના સેગવા ગામમાં એક મંજુરનું દીવાલ ધસી પડતા મોત નિપજ્યું છે. મજૂરો એક ઘરના જર્જરિત પતરા ઉતારી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. 06 મજૂરો પૈકી 03 મજૂરો નીચે પતરા ઉતારી મૂકી રહ્યા હતા ત્યારે અચાનક ઘરની દીવાલ ધસી પડતા 3 મજૂરો દબાય ગયા હતા. 3 પૈકી 1 મજુરનું મોત થયું જ્યારે 2 ઈજાગ્રસ્ત મજૂરોને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં નુકશાનીના સમાચારો સામે આવ્યા છે. 


વાવાઝોડાથી નડિયાદમાં વીજ પૉલ પડતાં ચાર ઢોરના મોત


બિપરજૉય વાવાઝોડાએ ગુજરાતમાં ચારેય બાજુએ તબાહી મચાવી દીધી છે, હવે સમાચાર પશુઓના મોત પણ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ નડિયાદમાંથી વીજ પૉલ પડવાથી પશુઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાના કારણે માલહાનિ થઇ હતી હવે જાનહાનિના પણ સમાચારો ધીમે ધીમે સામે આવી રહ્યાં છે.


માહિતી પ્રમાણે, ગઇકાલે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા બિપરજૉય વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત રાજ્યના બીજા શહેરોમાં પણ તબાહી મચાવી દીધી છે. હાલમાં જ નડિયાદ શહેરમાં વીજ પૉલ પડવાથી ચાર પશુઓના મોત થયા છે. રાજેન્દ્રનગર મોભા તળાવ પાસે ચાલુ વીજ પૉલ પડી જતાં કરંટ લાગવાથી પશુઓના મોત થયા હતા. મોતને ભેટેલા પશુઓમાં બે ભેંસ એક પાડી અને બે શ્વાનો સમાવેશ થાય છે. MGVCLને જાણ કરવા છતાં સમયસર ના પહોંચતા પશુઓના મોતનો પશુપાલકોએ આક્ષેપ પણ કર્યો છે. MGVCLને ટેલિફૉનિક તેમજ રૂબરૂ જાણ કર્યાના ત્રણ કલાક બાદ સ્થળ પર પહોંચ્યા હતા. વીજ થાંભલો પડ્યાની જાણકારી આપ્યા બાદ તુરંત વીજ પ્રવાહ બંધ ના કરાતા પશુઓના મોત થયા હતા. હાલમાં આ ઘટના બાદ પશુપાલકો દ્વારા વળતરની માંગ કરાઈ રહી છે.


ખેડામાં ખાટલામાં બેસેલા વ્યક્તિ પર વૃક્ષની ડાળી પડતા ઘટના સ્થળે જ મોત


મહુધાના વાસણા સુરજપુરા ગામે ઝાડની ડાળી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ખાટલામાં બેઠેલા હતા તે વખતે લીમડાના ઝાડની ડાળી પવનના કારણે નીચે પડી હતી. ખાટલામાં બેઠેલા રામાભાઈ મગનભાઈ ચૌહાણ ઉપર ડાળી પડતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રામાભાઈની ઉંમર 52 વર્ષની હતી. મહુધા પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ખેડા જીલ્લામાં વાવાઝોડાના આગમન પહેલા વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે આ દૂર્ઘટના ઘટી હતી.