Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના આનંદનગર ,પ્રહલાદનગર ,ગોતા ,બોપલ, એસ જી હાઈવે, સેટેલાઈટ, નિકોલ ,નારોલ,વેજલપુર ,માનસી સર્કલ,બોડકદેવમા પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ  છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


 



તો બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. સેકટર 1,2 સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગર સરખેજ હાઇવે પર વરસાદી માહોલ છવાયો છે. વરસાદના પગલે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.


ગુજરાતના 169 તાલુકામાં વરસાદ


ભારતના હવામાન વિભાગ (IMD) ના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપરજોય સંબંધિત નવીનતમ માહિતી આપી છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું.


બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 22 કલાકના એટલે કે 15 તારીખ સવારે 6 થી 16 તારીખ સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે.


છેલ્લા 22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો


કચ્છના ગાંધીધામમાં 6.6 ઇંચ વરસાદ


કચ્છના ભુજમાં 5.3 ઇંચ વરસાદ


કચ્છના મુંદ્રામાં 3.7 ઇંચ વરસાદ


દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ વરસાદ


કચ્છના અંજારમાં 3.5 ઇંચ વરસાદ


જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ વરસાદ


બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ


કચ્છના ભચાઉમાં 2.5 ઇંચ વરસાદ


કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. 


વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે.  વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.




નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયા મામલતદાર કચેરી સામે વિશાળ વૃક્ષ પડ્યું હતું. મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં  ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે.  હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.આ ઉપરાંત ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. દિલ્હી-એનસીઆરમાં ચક્રવાત બિપરજોયની વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. IMDનું કહેવું છે કે તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.