અમદાવાદઃ વાયુ વાવાઝોડુંનું સંકટ ગુજરાત પરથી હટી ગયું છે. મુખ્યમંત્રીએ હવામાન ખાતાના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક બાદ જાહેરાત કરી હતી કે ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. વાયુ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાઇ ગયું છે, જો કે ગુરુવારની રાત અને શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી તમામ રેસ્ક્યૂ ટીમ અને અધિકારીઓ સ્ટેન્ડ બાય રહેશે.


વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો પરંતુ ખરાબ સમાચાર એ છે કે, હવે તેના કારણે ચોમાસું મોડું આવી શકે છે. હવામાન વિભાગ કહે છે કે વાયુએ આખા દેશનું મોસ્ચ્યુરાઈઝ (ભેજ) શોષી લીધો છે. જેના કારણે હવે નવી સિસ્ટમ જ્યારે બનશે ત્યારબાદ નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે.



આ માટે 10, 15 અથવા 20 દિવસ કે વધુમાં વધુ 1 મહિનો રાહ જોવી પડે તો પણ નવાઈ નહીં. એટલે કે ‘વાયુ’ વાવાઝોડું તો ત્રાટક્યું નહીં પરંતુ ચોમાસાને પણ પાછળ ધકેલી દીધું.

આગામી 16 જૂન સુધીમાં ઓમાન તરફ જતા વાવાઝોડું સંપૂર્ણપણે વિખેરાઈ જશે. જો કે ગુરુ અને શુક્રવાર સુધીમાં વેરાવળથી છેક દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટી પર તેની થોડીઘણી અસર થશે જેના ભાગરૂપે સામાન્યથી વધુ એટલે કે 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમજ અડધા થી એક ઈંચ સુધીનો વરસાદ પડવાની પણ સંભાવના છે.