Biparjoy Cyclone Update: બિપરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના રાહત કમિશ્નરના કહેવા મુજબ આવતીકાલે પાંચ વાગ્યા વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં 46 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન કચ્છ માટે કરાયા શરૂ કરવામાં આવ્યા છે. દરિયાના કાંઠે નહીં જવાની રાજ્ય સરકારે અપીલ કરી છે. તેમના કહેવા મુજબ પ્રભાવિત વિસ્તારમાંથી 55 હજાર લોકોનું સ્થળાંતર કરવાનું આયોજન છે. કચ્છમાં 22 હજાર પૈકી 18 હજારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાંજ સુધીમાં કચ્છમાં કુલ 22 હજાર લોકોનું સ્થળાંતર કરાશે. જ્યાં અંધારપટ્ટ છે ત્યાં વીજપુરવઠો શરૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બિપરજૉય વાવાઝોડુ આવતીકેલા ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે, આ દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે, અને તેની ઝડપી 150 કિમીની રહેશે. હવામાન વિભાગ અનુસાર, બિપરજૉય વાવાઝોડું આવતીકાલે 4 થી 8માં ટકરાઇ શકે છે. માંડવી અને કરાંચીની વચ્ચેથી વાવાઝોડું પસાર થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થશે ત્યારે પવનની ગતિ 150 કિ.મીની રહેવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થતા જ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. કચ્છના મોટા અને નાના રણમાં પ્રચંડ આંધી પણ ફૂંકાઇ શકે છે. આ વાવાઝોડુંથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી શકે છે. 


વાવાઝોડાનો કેર, આ જિલ્લામાં ભારે પવનથી 492 વીજ પૉલ ધરાશાયી, જુઓ સંપૂર્ણ લિસ્ટ


બિપરજૉય વાવાઝોડાએ કેર મચાવવાનો શરૂ કરી દીધો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ મોટુ નુકશાન પહોંચ્યુ છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે અને આ બધાની વચ્ચે એક લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ગીર સોમનાથમાં 492 વીજ થાંભલા ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે. માહિતી પ્રમાણે, બિપરજૉય વાવાઝોડાએ દરિયા કાંઠાના વિસ્તારોમાં નુકશાન થવાનું શરૂ થઇ ગયુ છે. સમાચાર છે કે, પીજીવીસીએલના એક પ્રાથમિક સર્વે અનુસાર, સામે આવ્યુ છે કે, ગીર સોમનાથમાં બિપરજૉય વાવાઝોડાના કારણે કુલ 492 વીજ થાંભલા ધરાશાળી થયા છે. 


વાવાઝોડા પહેલાનો વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, દ્વારકા તાલુકામાં ચાર, તો કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.