દાહોદઃ બે દિવસ પહેલા શહેરના ગોદીરોડ વિસ્તારમાં 24 વર્ષીય યુવતીએ પોતાના રૂમમાં પંખે દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આપઘાત કરનાર યુવતીને શહેરના જ એક યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ હતા. જોકે, પ્રેમીએ તેને વારંવાર ભોગવ્યા પછી લગ્ન માટે ઇનકાર કરી દેતા આપઘાત કરી લીધો હતો. યુવતીએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, 24 વર્ષીય યુવતીને તેના જ શહેરના 35 વર્ષીય યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ હતા. યુવતી છેલ્લા ઘણા સમયથી યુવકને લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. પરંતુ યુવક તેને વાયદા કરીને ફક્ત તેની સાથે મજા કરી રહ્યો હતો અને લગ્નની વાત ટાળી દેતો હતો. યુવક પોતે પરણિત છે અને એક બાળકનો પિતા પણ હોવાનું જાણવા મળ્યું છે. 


બે દિવસ પહેલા વહેલી સવારે યુવતી પ્રેમીને મળવા ગઈ હતી અને ફરી એકવાર લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, યુવકે લગ્ન માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમજ કહ્યું હતું કે, તારે બીજે લગ્ન કરવા હોય તો કરી લે, નહીં તો મરી જા, હું તારી સાથે લગ્ન કરવાનો નથી. આ વાતથી યુવતીને ખૂબ જ લાગી આવ્યું હતું અને ઘરે આવી ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. 


ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને મૃતકની લાશને પંખા પરથી નીચે ઉતારી પીએમ અર્થે નજીકના દવાખાને મોકલી આપી હતી. મૃતક યુવતીના ઘર પર પરિવારજનો સહિત સમાજના ટોળે ટોળે ઉમટી પડ્યાં હતાં. આ અંગે  યુવતીના પિતાએ દાહોદ શહેર પોલીસ મથકે યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


બીજી તરફ યુવકે પ્રેમિકા કોઈ આડું પગલું ભરે તો પોતે ફસાઇ નહીં તે માટે અગાઉથી જ કાયદાકીય નોટિસ આપી હોવાનું જાણવા મળી છે. જેમાં યુવતી કોઈ ખોટું પગલું ભરે અને મોત થાય તો તેના મોત માટે પોતે નહીં, પરંતુ યુવતી જ જવાબદાર હોવાનું જણાવ્યું છે.