Banaskantha Rain: ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને નુકસાન થયું છે. વરસાદને પગલે અલગ અલગ તાલુકાના ખેતરો જળબંબાકાર થયા હતા. જેમાં કાંકરેજના આસેડા ગામના ખેતરો જળમગ્ન થયા છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાનની ભીતી છે. વરસાદને પગલે ફ્લાવર, રીંગણ, ભીંડા સહિતના શાકભાજીના પાકને નુકસાનની ભીતી છે. એટલું જ નહીં એરંડા, મગફળી, કપાસ સહિતના પાકને પણ નુકસાન જવાની શક્યતા છે. છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે બાજરી, જુવારના પાકને પણ નુકસાન જવાની શક્યતા છે.


સોમવારે (18 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતમાં 238 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 12 ઈંચ વરસાદ વિસાવદરમાં, 28 તાલુકામાં 2.5 થી 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. 75 જિલ્લામાં અડધાથી બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. સૌરાષ્ટ્રના આઠથી વધુ જિલ્લામાં 2 થી 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા સોમવારે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.


રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નર્મદા અને ભરૂચ સહિતના સાત વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરી હતી. હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 10-10 ટીમો તૈનાત કરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની પાંચ ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે.


નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 12 હજારથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આઠસોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ પત્રકારોને જણાવ્યું હતું કે નર્મદા નદીનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.


દરમિયાન હવામાન વિભાગે પાટણ, કચ્છ અને મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિની આગાહી કરી છે. બીજી તરફ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે પણ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ગઈકાલે પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જારી કર્યું છે.