સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. પાલિકા અને સ્થાનિક વેપારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં 6 ડીસેમ્બર સુધી ખેડબ્રહ્યાની બજારો બપોરે 3 વાગ્યા બાદ સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


ખેડબ્રહ્યા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 73 કેસ નોંધાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે, સાબરકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણના પગલે આ પહેલા પણ કેટલાક શહેરો સ્વંયભુ લોકડાઉન અને આંશિક લોકડાઉનનો નિર્ણય કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોવિડ-19ના નવા 1502 નવા કેસ નોંધાયા હતા.  રાજ્યમાં  વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3989 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ છે, જ્યારે 1,90,821 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 83 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,887 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,09,780 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1401 દર્દી સાજા થયા હતા અને 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 78,25,615  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.96 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,198 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,015 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 183 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.