ડીસાઃ શુક્રવાર સાંજે ડીસા તાલુકાના ભાખર ગામની હદમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી મુકબધીર સગીરાનું ગળુ કાપી ધડથી માથુ 20 ફુટ દૂરથી મળી આવ્યું હતું. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકો ચોંકી ગયા હતાં. આ હત્યાકાંડ મામલે રાષ્ટીય મહિલા આયોગના સભ્ય રાજુલબેન દેસાઈનું નિવેદન સામે આવ્યું છે,


મહેસાણા ખાતે તેમણે નિવેદન આપ્યું છે કે, ડીસામાં બનેલી હત્યાની ઘટના પાછળ તાંત્રિક વિધિ જવાબદાર હોવાની શકયતા છે. મહિલા આયોગ દ્વારા લોકલ એસપીને આ દિશામાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. જે રીતે ડોગ મંદિર સુધી આવીને અટકી ગયો તે જોતા તાંત્રિક વિધિની શક્યતા છે. મંદિર નજીક લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા.

આ હત્યાકાંડ પહેલા સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ડોગ સ્કવોડ તેમજ એફએસએલની ટીમોએ આરોપીનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી હતી.

છેલ્લે એક મોટરસાઈકલ ઉપર આ કિશોરીને બેસાડી યુવક લઈ જતો હોવાનું સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યું છે. આ ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપી નીતિન માળીને ઝડપી પાડ્યો હતો.

ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતી 11 વર્ષીય મુકબધીર કિશોરી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ત્યારે તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી કિશોરીની કોઈ ભાળ ન મળતાં તેના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશને ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

જોકે તપાસ દરમિયાન મોડી રાત્રે હાઈવે પર આવેલા પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મુકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો અજાણ્યો યુવક જોવા મળ્યો હતો. જ્યારે બીજે દિવસે વહેલી સવારે દાંતીવાડા તાલુકાના ભાખર ગામ પાસે અવાવરૂ પહાડી વિસ્તારમાંથી આ કિશોરીની ક્ષતવિક્ષત હાલતમાં હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.

આ ઘટનાને પગલે દાંતીવાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં આ કિશોરી ગળુ કાપી ધડથી માથુ 20 ફૂટ દૂર ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યુ હતું. જેથી પોલીસે મૃતકના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી.