કેજરીવાલ આજથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે, મહેસાણામાં પાટીદાર આગેવાનો કરશે બેઠક
abpasmita.in | 14 Oct 2016 08:51 AM (IST)

મહેસાણા: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા શુક્રવારથી એટલે કે આજથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે છે. આજે સાંજે છ વાગ્યે અમદાવાદ આવશે અને રાત્રિ રોકાણ મહેસાણામાં કરશે. તેમજ સુરતમાં જાહેરસભા સંબોધશે. કેજરીવાલ મહેસાણામાં પોલીસ દમનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોના પરિવારને મળી આશ્વાસન આપશે અને પાટીદારોની કુળદેવી ઊંઝા ઉમિયા મંદિરે જશે. પાટીદારોનો ફાયદો લેવા આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહેસાણામાં પ્રથમ રાજકીય મુલાકાતે રાજકીય ગરમાવો સર્જયો છે. સાથેજ સુરત અને અમદાવાદમાં કેજરીવાલના વિરોધમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. અને સવારે 8.15 કલાકે પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામેલ પાટીદાર યુવાનોના પરિવારને મળ્યા બાદ 10.30 કલાકે કામલી ગામે પણ આંદોલનમા મૃત્યુ પામેલા યુવકના પરિવારને મળીને આશ્વાસન આપશે. ત્યાર બાદ તેઓ ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે માથુ ટેકવશે. નોંધનીય છે કે,દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાત પ્રભારી ગુલાબસિંહ બે દિવસ પૂર્વે મહેસાણા આવ્યા હતા અને પાટીદાર આંદોલનમા મૃત્યુ પામેલા શહીદોના પરિવારને મળી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત નિશ્ચિત કરી હતી. મહેસાણામાં અરવિંદબાગની બાજુમાં મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા આમરણાંત ઉપવાસ બીજા દિવસે યથાવત રહ્યા હતા.જેમાં વધુ 23 મહિલાઓ જોડાઇ હતી. મધ્યાહન ભોજન કેન્દ્રો એનજીઓને સોંપવાની હિલચાલ સહિતના મુદ્દે આ ઉપવાસ ચાલી રહ્યા છે.