અમરેલી: અમરેલીના ગીર કેચમેંટ વિસ્તારમાં મોડી રાત્રે આભ ફાટ્યુ હતું. માત્ર દોઢ કલાકમાં આઠ ઈંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતીનું નિર્માણ થયુ હતું. અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ ધારીના ખોડીયાર ડેમના તમામ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે પાદરગઢ, આંબરડી સહીતના ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે.


ધારી પંથકમાં અનરાધાર વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં ડેમના તમામ 9 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 7200 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

ધારી ગીરના ચાંચઈ, પાણીયા, ગોવિંદપુર, દલખાણીયા સહિતના ગામોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિમાર્ણ થઈ હતી. માત્ર દોઢ કલાકમાં અનરાધાર 8 ઇંચ વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.