Alpesh Thakor statement on Dudhsagar Dairy: ઉત્તર ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન મહેસાણાની દૂધસાગર ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ઠાકોર સમાજના અગ્રણી નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સહકારી ક્ષેત્રમાં સમાજને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે અન્યાય ચલાવી લેવામાં આવશે નહીં. બીજી તરફ, બળદેવજી ઠાકોરે ડેરીના વહીવટદારો પર સનસનાટીભર્યા આક્ષેપો કરતા દાવો કર્યો છે કે ચૂંટણીમાં જીતવા માટે મંડળીના પ્રમુખો અને મંત્રીઓને ₹3 થી ₹5 લાખ આપીને મતો ખરીદવામાં આવી રહ્યા છે. આ આક્ષેપોએ સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી છે.

Continues below advertisement

અલ્પેશ ઠાકોર: "વહીવટ બીજાનો અને મત બીજાનો, આ દુર્ભાગ્યપૂર્ણ છે"

દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા અને તેમાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગે અલ્પેશ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કલોલ પંથકમાંથી મળેલી ફરિયાદોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ડેરીની મંડળીઓમાં વહીવટદારો અલગ હોય છે અને મતાધિકાર બીજા વ્યક્તિઓ પાસે હોય છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. તેમણે સમાજને હાકલ કરતા કહ્યું હતું કે, "અન્યાય ક્યારેય ન ચાલે અને અન્યાયની સામે હંમેશા બોલવું પડે."

Continues below advertisement

અલ્પેશ ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર ખૂબ વિશાળ છે અને તેમાં ઠાકોર સમાજની મોટી વસ્તી હોવા છતાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. અમારી માંગ છે કે સામાજિક અને સહકારી ક્ષેત્રમાં સમાજને પૂરતું પ્રાધાન્ય અને પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ.

બળદેવજી ઠાકોરનો ગંભીર આરોપ: "પૈસા ફેંકીને લોકશાહીનું હનન"

બીજી તરફ, ઠાકોર સમાજના અન્ય એક નેતા બળદેવજી ઠાકોરે ડેરીની ચૂંટણી પ્રક્રિયા પર સીધા પ્રહારો કર્યા હતા. તેમણે મોટો ધડાકો કરતા આક્ષેપ કર્યો હતો કે ડેરી મંડળીઓના પ્રમુખો અને મંત્રીઓને ખરીદવા માટે ₹3 લાખથી લઈને ₹5 લાખ સુધીની રકમ આપવામાં આવી રહી છે. પૈસાની લાલચ આપીને સત્તાધીશો પોતાના મનગમતા ઉમેદવારોને બિનહરીફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે લોકશાહી માટે ખતરા સમાન છે.

"50% વસ્તી છતાં નેતૃત્વ ગાયબ"

બળદેવજીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, દૂધસાગર ડેરીના કાર્યક્ષેત્રમાં ઠાકોર સમાજની વસ્તી 50% થી વધુ હોવા છતાં, ડેરીના નેતૃત્વમાંથી સમાજને દૂર રાખવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે ઠરાવો કરાવીને અને સરકારી દબાણ ઉભું કરીને અન્ય ઉમેદવારોને ફોર્મ ભરતા રોકવામાં આવે છે અથવા સહી કરવા દેવામાં આવતી નથી.

રોજગારીનો મુદ્દો અને ડિરેક્ટર પદની માંગ

ડેરીના વર્તમાન સંચાલકો પર પ્રહાર કરતા બળદેવજીએ જણાવ્યું હતું કે, સંચાલકોએ સમાજના યુવાનો પાસેથી નોકરીની તકો છીનવી લીધી છે. જો ડેરીના બોર્ડમાં ઠાકોર સમાજનો ડિરેક્ટર હશે, તો જ સમાજના દીકરા દીકરીઓને ડેરીમાં રોજગારી મળી શકશે. તેથી, આ વખતે ચૂંટણીમાં સમાજને યોગ્ય સ્થાન મળવું અનિવાર્ય છે.