રાજકોટઃ ચાલુ વર્ષે ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લેતી. પહેલા સતત એકધારા વરસાદના કારણે મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો હતો, હવે કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો આવ્યો હતો.




જૂનાગઢના માળીયાહાટીના, અમરાપુર, કાત્રાસા, આંબલગઢ,  વીરડી સહિતના ગામના આકાશમાં વાદળો છવાતાની સાથે વરસાદ શરૂ થતાં જગતનો તાત ચિંતિત બન્યો હતો. વરસાદના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ પડવાથી ઘઉં, ચણા, ધાણા, જીરુ, તલ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.



કેશોદમાં બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો હતો. વાદળ છાયા વાતાવરણથી ખેડૂતોના પાકમાં જીવાત થવાનો પણ ભય સતાવી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યના  આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં  કમોસમી વરસદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.



હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર અને દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વેલમાર્ક એમ બે લો-પ્રેશર સક્રિય છે. હાલમાં અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને જૂનાગઢમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.