ગાંધીનગર: બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં છે. વિદ્યાર્થીઓ ભારે વિરોધ કરી રહ્યાં છે અને બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે. તેની વચ્ચે પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 39 લેખીત ફરીયાદો મળી હતી. સાથે 26 જેટલા વોટ્સએપના ચેટિંગ રજુ કર્યા છે. જેની તપાસ ચાલી રહી છે.


બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, પોલીસે પકડી-પકડીને ડબામાં બેસાડ્યા

પ્રદિપસિંહે જણાવ્યું કે 3176 પરીક્ષા કેન્દ્રોમાં 98 ટકા વધારે સીસીટીવી હેઠળ આવરી લેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સમગ્ર ઘટનામાં 5 જિલ્લામાં 39 ફરિયાદમાં 305 સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કામ અંતિમ તબક્કામાં છે. બે દિવસની અંદર જ એક્શન લઈને રજુ કરવામાં આવશે. નિર્દોષ વ્યક્તિને નુકસાન ના થાય તે મામલે અમે તકેદારી રાખી રહ્યા છે.


સુરેંદ્રનગર, ગીરસોમનાથ અને બનાસકાંઠામાં ફોન સાથે રાખવાની ફરીયાદ થયેલી તેને લઇને ફરીયાદ પણ થઇ છે. હાલ પરીક્ષા રદ્દ નહીં થાય બે દિવસમા રિપોર્ટ રજુ કરાશે. પાલનપુરમાં થયેલી ફરિયાદમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જે લોકોએ વોટ્સએપ મારફતે આન્સર કી મંગાવી હતી તેની સામે પગલા લેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં ચોરી કરી છે એના સંદર્ભમાં સંચાલકો, સુપરવાઈઝર અને ખંડ નિરિક્ષકોને બોલાવીને પરીક્ષામાં ચોરી થયાની સુનાવણી આવતી કાલે કરવામાં આવશે.


રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલે વિદ્યાર્થીઓ આકરા મૂડમાં આવ્યા છે. રાજ્યભરમાંથી હજારો વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શનને જોતા ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ અને કર્મચારી ભવન ખાતે પોલીસે સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.