પાટણ: પાટણમાંથી પસાર થતાં ચાણસ્મા-પાટણ-ડીસા રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ નવજીવન ચોકડી પર રૂપિયા 27 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ફ્લાય ઓવરબ્રિજનું ભૂમિપૂજન અને કાનૂની માપ વિજ્ઞાન (તોલમાપ) કચેરીનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ગુરૂવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપા નેતા અને સરકારી અધિકારીઓ હાજર રહ્યાં હતાં.


આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ પાટીદારોને જૂનું બધું ભૂલી જવા અને વેપારીઓને માર્કેટયાર્ડમાં જોઈશે તેટલી સબસિડી સુવિધાઓ આપવાનું કહીને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે લોકોને ટકોર પણ કરી હતી કે, જૂનું જે થયું તે ભૂલી જાવ બધું, સારું થતું હોય ત્યારે પાટણ જૂદુ રહે તે ના ચાલે. સરપંચથી માંડી દરેક જગ્યાએ ભાજપ જ હોવું જોઈએ તો ધારાસભ્યના ધરણાંને રાજકારણનો દેખાડો ગણાવ્યો હતો.

માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા, કડી, મહેસાણાની જેમ હવે પાટણ માર્કેટયાર્ડને પણ સરકાર સબસિડીઓ આપી ખેડૂતો વેપારીઓ માટે સુવિધા કરશે. માર્કેટયાર્ડમાં તોતિંગ શેડ બનાવવા માટે જેટલી જરૂર હશે તેટલી મદદ કરવાની અને ખેડૂતોએ ભૂતકાળમાં કલ્પના ન કરી હોય તેવી સુવિધા પાટણ માર્કેટયાર્ડમાં મળશે તેવી ખાતરી આપી હતી.