ગુજરાત શિક્ષણ જગતને લાંછન લગાવતો કચ્છમાં એક ચોંકાવનારી કિસ્સો બન્યો હતો. ભૂજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટમાંથી છોકરીને ક્લાસની બહાર કાઢીને એક પછી એક પ્રિન્સિપાલની ચેમ્બરમાં આવેલા વોશરૂમમાં માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી. જેના કારણે ભુજમાં વિદ્યાર્થિનીઓ સહિત લોકો રોષે ભરાયા હતાં.


આ ઘટના બાદ ઘણી વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, છાત્રાલયમાં રહેતી 60 છોકરીઓને કોલેજના ખંડમાં બોલાવી હતી અને પ્રિન્સિપાલ રીટાબેન રણીંગા, એડમિનિસ્ટ્રેટર અનીતાબેન, શિક્ષિક રમીલાબેન અને નયનાબેને છોકરીઓને એક પછી એક પ્રિન્સિપાલની ચેમ્બરમાં આવેલા વોશરૂમમાં કપડાં ઉતરાવીને માસિક ધર્મની ચકાસણી કરી હતી.

આ અંગે એક વિદ્યાર્થિની કહ્યું હતું કે, અમે બુધવારે ક્લાસરૂમમાં બેઠા હતાં ત્યારે અમને બહાર લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમને અમારા માસિક ધર્મ અંગે પૂછપરછ કરી હતી. ત્યાર બાદ એક પછી એક છોકરીને બાથરૂમમાં લઈ જઈને કપડાં ઉતરાવીને પીરિયડમાં છે કે નહીં તે અંગે પૂછપરછ કર્યા બાદ ચેકિંગ કર્યું હતું.

સંસ્થાના વાઇસ પ્રેસીડેન્ટ અને મુખ્ય સંચાલક એવા પ્રવીણભાઈ પીંડોરીયાએ જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થિનીઓ કહેશે એ પ્રમાણે જ પગલાં ભરવા તૈયાર છીએ. અમારી સંસ્થાએ અનેક ઈવેન્ટમાં સિદ્ધિઓ મેળવી છે, દુરદુરના ગામડાની ગરીબ છોકરીઓને અહીં સારી રીતે રખાય છે. અમારા માટે દિકરીઓ જ મહત્વની છે.