ગાંધીધામ: સોમવારે સાંજે 7:01 વાગે કચ્છની ધરતી પર 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂંકપથી ગભરાયેલા લોકો પોતાના ઘર, દુકાન છોડીને બહાર દોડી આવ્યા હતાં. આંચકાની તીવ્રતા એટલી વધારે હતી કે, તેનો અનુભવ દરેક આયુના વ્યક્તિઓએ કર્યો હતો. જેના કારણે સમગ્ર કચ્છમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.


દક્ષિણ ગુજરાતના ઉનાઈમાં પણ બપોરે 2.4નો આંચકો અનુભવાયો હતો. ગુજરાતના સીસ્મોલોજી વિભાગના સત્તાવાર સૂત્રોએ, આ આચંકો કચ્છના ભચાઉથી નોર્થ નોર્થઈસ્ટ તરફ 23 કિલોમીટર દૂર 15.3 કિલોમીટરની ડેપ્થમાં એપીસેન્ટર નોંધાયું હતું. આંચકાનો અનુભવ પૂર્વ સાથે ભુજ સહિત મધ્ય કચ્છમાં થયો હતો.

કચ્છના ભચાઉ નજીક એપીસેન્ટર હોવાના કારણે તેની સર્વાધિક અસર ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં થઈ હતી. ચોબારી જેવા વિસ્તારોમાં આંચકા સાથે જમીન અંદરથી અવાજ સંભળાયો હતો. તાલુકાના સામખિયાળી સહિતના વિસ્તારોમાં લોકો બહાર એકત્ર થયા હતા. ગાંધીધામ, ભુજ, ખાવડા, રાપર અને અંજારમાં ગભરાયેલા લોકો પોતે જે સ્થળોએ હતા ત્યાંથી બહાર ખુલ્લા વિસ્તારમાં દોડી આવ્યા હતાં.

રાપર તાલુકામાં પણ લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. ખેંગારપર, રામવાવ, ગવરીપર, સુવ‌ઈ, વણોઈ, કુડા અને આજુબાજુના વિસ્તારોમાં સાંજે ધરતીકંપના આંચકાથી‌ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતાં. ભચાઉના છાડવારા ખાતે પણ આ આંચકાનો અનુભવ થયો હતો.