ગાંધીનગર: રાજ્યની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીમાં કૉંગ્રેસને ઝટકો મળવાનું નક્કી છે. રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકની પેટાચૂંટણી અલગ અલગ ગણાશે. અહમદ પટેલના નિધનથી 25 નવેમ્બરે અને અભય ભારદ્વાજથી 1 ડિસેમ્બરે બેઠક ખાલી પડી છે.


અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક પર જે પણ જીતશે તેની મુદ્દત 18 ઓગસ્ટ 2023 સુધી રહેશે. અને ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી બેઠક પર જે પણ જીતશે તેની મુદ્દત 21 જુલાઈ 2026 સુધી રહેશે.

જાહેરનામા અલગ અલગ પડશે એટલે અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક કૉંગ્રેસ ગુમાવશે. ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 હોવાથી એકપણ બેઠક કૉંગ્રેસના ફાળે નહીં જાય .ઈલેક્શન કમિશન ઓફ ઈંડિયાએ જાહેર કરેલા આ પત્રથી ખુલાસો થયો છે.

કેન્દ્રીય ચૂંટણીપંચે આ ખાલી પડેલી બંને બેઠક માટે ચૂંટણી યોજવાની તૈયારીઓ કરી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને પત્ર લખી ચૂંટણી અધિકારીની વિગત માગી હતી. આ પત્રમાં બંને બેઠકની અલગ-અલગ ચૂંટણી યોજવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે, જેને પગલે એ વાત સ્પષ્ટ થઈ છે કે રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠકની અલગ-અલગ ચૂંટણી યોજાવાની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે.