ગાંધીનગરઃ માવઠાની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલોમાં કાલથી પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ ખેડૂતોની માંગ છે કે નર્મદા કેનાલમાં 20 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવામાં આવે. ઉનાળુ સહિત કેટલાક પાકનું વાવેતર થયું હોવાથી પાક સુકાવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.


Gujarat Weather: દ્વારકા - અમદાવાદમાં કમોસમી વરસાદ, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ


Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડશે. હવાવાન વિભાગની આગાહી મુજબ, યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. અચાનક વાતાવરણમાં પલટો થતાં ગાજવીજ સાથે વરસાદ સાથે વીજ પુરવઠો પણ બંધ થયો હતો. અચાનક કમોસમી વરસાદ પડતા સમગ્ર દ્વારકાના રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. યાત્રાધામ દ્વારકામાં ભર ચોમાસા જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો.


અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને  દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.


સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. વાદળ છાયા વાતાવરણને લઈને ફરીથી ખેડૂતોની ચિંતા વધી છે. જો હવે વરસાદ પડશે તો ખેડૂતોના પાછોતરા ઘઉં અને લસણના પાકમાં સૌથી વધુ નુકસાન થશે. સૌરાષ્ટ્રમાં અમુક ખેડૂતોએ કપાસનો પાક કાઢીને પાછોતરા ઘઉંનું વાવેતર કર્યું હતું, અમુક વિસ્તારોમાં ખેડૂતોનું લસણ ડાબામા ખેતરોમાં પડ્યું છે. સાથે જ કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થશે. એક મહિનાના સમયગાળામાં સતત ચોથી વખત વરસાદ પડશે તો ફરીથી ખેડૂતોની મુશ્કેલી વધશે. જોકે સરકાર દ્વારા હજી સુધી સૌરાષ્ટ્રના એક પણ જિલ્લામાં ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય મળી નથી. સરકારના નિયમો એવા કે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો પણ તેમને સહાય ન મળે. અલગ અલગ વિસ્તારોમાં કૃષિ અધિકારીઓએ સર્વે કર્યા પરંતુ ખેડૂતોને ફદીયું પણ મળ્યું નથી.