આવતીકાલે ખેડૂતોનું ભારત બંધનું એલાન, રાજ્યમાં પેટ્રોલ પંપ ચાલુ રહેશે કે બંધ ? જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Dec 2020 06:04 PM (IST)
કેંદ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આવતીકાલે મંગળવારે 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન આપ્યું છે.
ફાઈલ તસવીર
અમદાવાદ : કેંદ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આવતીકાલે મંગળવારે 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ પેટ્રોલ પમ્પ એસોસિયેશન દ્વારા ભારત બંધના મામલે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ પેટ્રોલ પમ્પધારકોનું ભારત બંધને સમર્થન નથી. પેટ્રોલ પમ્પ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું, ગુજરાતમાં 5000 જેટલા પેટ્રોલ પમ્પના સંચાલકોને પુરવઠાની સમસ્યા નહી પડે. પોતાના સમય પ્રમાણે રાબેતા મુજબ પેટ્રોલ પમ્પ ચાલુ રાખવામાં આવશે. દિલ્હીમાં આંદોલન કરતા ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનમાં અમદાવાદ APMC પણ નહીં જોડાય. જમાલપુર APMC ચાલુ રાખવામાં આવશે. તમામ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. હાઈવે પરથી પસાર થતા ટ્રક માટેના રૂટ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. કૉંગ્રેસ સહિતના અનેક પક્ષોએ ભારત બંધનું એલાન આપ્યું છે. જોકે, રાજ્યમાં આ બંધને સરકારનું સમર્થન નથી. ભારત બંધના એલાનને વિજય રૂપાણીએ કૉંગ્રેસ પ્રેરીત ગણાવ્યું હતું.