બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. રવિવારે દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને હટાવી આચાર્ય પક્ષના રમેશ ભગતને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.  આ દરમિયાન ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો વાયરલ કર્યો છે.


જે મુજબ, રાત્રે ૮ કલાકે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં આવી ચુટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરી બહાર કાઢ્યા હતા. તેમણે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓને ઓફિસમાં મનફાવે તેવી ગાળો આપી ધાર્મિક સંસ્થા મા ન શોભે તેવું વર્તન કર્યું છે. ડીવાયએસપીની આ વરવી ભૂમિકાને લઈને આઈજી, રાજયના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને તાત્કાલીક તપાસ કરવાની માંગ છે.

ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટની ચૂંટણી યોજવા માટે ભૂતકાળમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે લાંબા સમય સુધી કોર્ટ મેટર ચાલી હતી. અંતે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આચાર્ય પક્ષના હાથમાંથી સત્તા સરકી ગઈ હતી અને દેવ પક્ષના હાથમાં ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની સત્તા આવી ગઈ હતી. ત્યારે ચૂંટાયેલા દેવ પક્ષના હરજીવન સ્વામી ચેરમેન પદે બિરાજમાન હતાં. ગઈકાલે આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓએ ઠરાવ પસાર કરીને ચેરમેન પદે રમેશ ભગતની નિમણૂક કરતાં ફરી આચાર્ય પક્ષના હાથમાં સત્તા આવી ગઈ છે.