અમદાવાદ: કેંદ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આવતીકાલે મંગળવારે 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન આપ્યું છે. દિલ્હીમાં આંદોલન કરતા ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને મહેસાણાની એક પણ APMCનું સમર્થન નથી. ઊંઝા, મહેસાણા, ખેરાલુ, વિજાપુર સહિત કડી APMC આવતીકાલે ચાલુ રહેશે. તમામ વેપારીઓ ખેડૂતોના માલની ખરીદી કરશે. ખેડૂતોના હિતમાં મહેસાણાની APMC ચાલુ રાખવામાં આવશે.


ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને ભારતીય કિસાન સંઘનું સમર્થન નથી. આંદોલનમાં વિદેશીઓ, અન્ય રાજકીય પક્ષો પણ સામેલ થયા હોવાથી અરાજકતા ફેલાઈ હોવાનું ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે. કોઈ અનુચિત ઘટના ન ઘટે તે માટે જનતાને સર્તક રહેલા માટે અપીલ કરવામાં આવી છે.

દિલ્હીમાં આંદોલન કરતા ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનમાં અમદાવાદ APMC પણ નહીં જોડાય. જમાલપુર APMC ચાલુ રાખવામાં આવશે. તમામ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. હાઈવે પરથી પસાર થતા ટ્રક માટેના રૂટ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આવતીકાલે ભારત બંધના એલાનમાં બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડો પણ નહીં જોડાય. બનાસકાંઠાના પાલનપુર,ભાભર,પાંથાવાડા, થરાદ સહિતના માર્કેટયાર્ડો આવતીકાલે ચાલુ રહેશે.

આવતીકાલે ખેડૂતોના ભારત બંધના એલાનને રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના દલાલ મંડળે સમર્થન જાહેર કર્યું છે. આવતીકાલે રાજકોટ અને ગોંડલ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને સમર્થન આપવા અમરેલી જિલ્લાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આવતી કાલે બંધ રહેશે. ખેડૂતોના બંધના સમર્થનમાં એપીએમસીના ચેરમેન મોહનભાઈ નાકરાણીએ બંધ રાખવાનું એલાન કર્યુ છે. જો કે અમરેલી જિલ્લાના અન્ય માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહશે.

અખિલ ભારતીય કોળી સમાજે ભારત બંધને ટેકો આપ્યો છે. ભારત બંધને ગુજરાતના કોઈ સામાજીક સંગઠન તરફથી આ પહેલો ટેકો જાહેર થયો છે. આવતીકાલે બંધને કોળી સમાજ સંગઠનના કાર્યકરો સમર્થન આપશે.

ભારત બંધને વિસનગર વેપારી મંડળે ટેકો જાહેર કર્યો છે. આવતી કાલે વિસનગર APMCના તમામ વેપારીઓએ દુકાનો બંદ રાખવાનો નિર્ણય લીધો છે. વિસનગર APMC ચાલુ રહેશે પણ વેપારી બંધમાં જોડાશે. વિસનગર ગંજ બજાર વેપારી મંડળે નિર્ણય લીધો છે.

મોરબી જિલ્લાના બે યાર્ડ આવતીકાલે બંધ રહેશે. મોરબી માર્કેટિગ યાર્ડ અને વાંકાનેર માર્કેટીંગ યાર્ડ બંઘ રાખી ખેડૂતોના ભારત બંધને સમર્થન આપ્યું છે. જો કે હળવદ માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ રહેશે.

ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ આવતીકાલે તમામ APMC બંધ કરાવશે. કૉંગ્રેસ APMC બંધ કરાવ્યા બાદ બજારો પણ બંધ કરાવશે. ધારાસભ્યોની મિટિંગમાં પ્રમુખ અમિત ચાવડાએ આ સૂચના આપી છે. અમિત ચાવડાએ કૉંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરોને કોઈ પણ ઘર્ષણમાં ન ઉતરવાની પણ કડક સૂચના આપી છે. ખેડૂતોને સાથે રાખીને જ બંધ કરાવવા જવાનો તમામ કાર્યકરોને અને ધારાસભ્યોને આદેશ આપ્યા છે.