પાલનપુર: શનિવારે પાલનપુરના કાણોદર નજીક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. કારચાલકે પિતા-પુત્રીને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઈ ગયો હતો. પિતા તેમની દીકરીને બાઈક પર સ્કૂલે મુકવા જઈ રહ્યાં હતાં તે દરમિયાન આ હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. બંનેના મૃતદેહ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


પ્રાપ્ત માહિતી પ્રમાણે, અહમદભાઈ મીર તેમની દીકરી આગિયાનાને મૂકવા માટે સ્કૂલે જઈ રહ્યાં હતા. ત્યારે બંને રોડની સાઈડ પર ઉભા હતા તે સમયે રાજસ્થાન પાસિંગની RJ-38-TA-0464 નંબરની કારે બંનેને અડફેટે લીધા હતા. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળેટોળાં ઉમટ્યાં હતા.

શનિવાર હોવાથી પિતા તેની દીકરીને મૂકવા માટે વહેલા સ્કૂલે જઈ રહ્યાં હતા. અકસ્માત કાણોદરની જામિયા મસ્જિદ પાસે અમદાવાદ-પાલનપુર હાઈવે પર થયો હતો. મૃતક અહમદ મીર 7 સંતાનોના પિતા હતા અને સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના મોતથી પરિવાર પર આભ ફાટી તુટી પડ્યું હતું.