અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભાજપમાં બળવો થયો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરતાં ભાજપમાં સોપો પડી ગયો છે.


ગોવિંદ પરમારે જાહેરાત કરી છે કે,મંગળવારે હું ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઇશ. પરમારે ખુલાસો કર્યો કે, મને ભાજપ સાથે વાંધો નથી પણ આણંદના સાંસદ મિતેશ પટેલ સાથે જ વાંધો છે તેથી હું ધારાસભ્ય છોડી રહ્યો છું પણ ભાજપમા તો રહીશ જ.



સાંસદ મિતેશ પટેલના કારણે નારાજ થઈને ધારાસભ્ય ગોવિંદ પરમારે મંગળવારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવા એલાન કરતાં પ્રદેશ નેતાગીરી મૂંઝવણમાં મૂકાઇ છે. પરમનારે આક્ષેપ કર્યો કે, આણંદના સાંસદના ઇશારે જિલ્લા સંગઠનમાં મારી અવગણના કરવામાં આવી રહી છે અને મને કોઇ પૂછતુ જ નથી. આ અંગે મેં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ , સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા સહિતના નેતાઓને લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાંય કોઇ પરિણામ આવી શક્યુ નથી તેથી મારે રાજીનામું આપવાનો નિર્ણય લેવો પડ્યો છે.