Gujarat Crime News: ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. લીમડીવાળી સડક પર સમાન્યમાં બોલાચાલી બાદ પથ્થમારો થયો હતો. બે જૂથ વચ્ચે સર્જાયેલા ઝઘડામાં પથ્થરમારો થયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાની ઘટનામાં એક કારને પણ નુક્સાન થયું છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.


નૂતન વર્ષે જ ભાવનગર જિલ્લામાં હત્યાના બે- બે બનાવથી ખળભળાટ જોવા મળ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે દિવાળી પર ગોપાલ ચુડાસમા નામના યુવકને પિતા- પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જોત જોતામાં શાબ્દિક ટપાટપી બાદ વાત વણસતા ગોપાલ ચુડાસમા પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકની હત્યાને પગલે મૃતકના પરિવારજનો રોષે ભરાયા છે.  પરિવારજનોએ જ્યાં સુધી હત્યારાઓ પકડાઈ નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. હાલ તો બોર તળાવ બી ડિવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબીમાં ફાયરિંગ


વાંકાનેરના કેરાળા ગામે નવા વર્ષના રામ રામ કરતા ફાયરિંગ થયું છે. રૈયાભાઈ છગનભાઇ ગોલતરએ ગોપાલભાઇ લાખાભાઇ બાંભવા તથા લાખાભાઇ ગોરાભાઇ બાંભવાને નવા વર્ષ નિમીતે ઉંચો હાથ કરી રામ રામ કરી હાથ મિલાવવા નજીક જતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા. તારી સાથે રામ રામ કરવાના થતા નથી તુ નિકળ એમ કહેતા ફરિયાદી તથા સાહેદ હરેશ બન્ને જણા ચાલીને નજીકમા આવેલ રાણીમા રૂડીમાના મંદિરે દર્શન કરવા જતાં રહ્યાં. દર્શન કરી પરત આવતા પાછળથી ફાયરીંગનો અવાજ આવતા પાછું વળીને જોતા ગોપાલભાઇ પોતાના હાથમા પિસ્તોલ રાખી ફરિયાદી પર બીજી વખત ગોળીબાર કર્યો હતો. ફરિયાદીને ડાબા પડખામા તથા પેટના ભાગે ઇજા થઈ છે. સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


સુરતમાં 4ના મોત


સુરતમાં દર્દનાક દુર્ઘટના ઘટી છે. ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળાઈ જવાથી મોત થયા છે. પલસાણા-કડોદરા રોડ પર કિરણ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાં રિસાયકલ વોટર ટેન્કમાં સાંજના સમયે સફાઈ માટે 2 શ્રમિકો ઉતર્યા હતા. જોકે બંને શ્રમિકો બહાર નહિ આવતા અન્ય 2 શ્રમિકો ટેન્કમાં તેઓને જોવા માટે ઉતર્યા. જોકે તેઓ પણ બહાર નહિ આવતા મિલ સંચાલકોએ પોલીસને જાણ કરી. જેથી બારડોલી, કામરેજ ઇ.આર.સી, પી.ઇ.પી.એલ તેમજ હોજીવાલા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કરી તમામ ચારેય લોકોને ટેન્કમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે એ પહેલાં તમામ લોકોના મોત થયા હતા. સફાઈ કરવા ઉતરેલા શ્રમિકો કોઈ પણ સેફ્ટીના સાધન વગર ટેન્કમાં ઉતર્યા હોવાનો આરોપ છે. જેને લઈ ટેન્કમાં ઉત્પન્ન થયેલ ગેસને કારણે ગૂંગળામણ થતા ચારેય શ્રમિકોના મોત નિપજ્યા છે.