અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં બે નવા કેસ અને પાટણ જિલ્લામાં એક નવો કેસ સામે આવતા ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 98 પર પહોંચી છે. પાટણ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના કહેર વચ્ચે અત્યાર સુધીમાં 12 લોકોએ કોરોના વાયરસને માત આપી હોસ્પિટલમાં સારવાર લઈને સાજા થયા છે.


અમદાવાદમાં કોરોના વાયરસના 38 કેસ નોંધાયા છે.  સુરતમાં 12, રાજકોટમાં 10, વડોદરામાં 9,ભાવનગરમાં 9 ,પોરબંદરમાં 3, ગીરસોમનાથમાં 2,કચ્છમાં 01, મહેસાણામાં 01, પંચમહાલમાં 1 અને પાટણ જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 9 લોકોના મોત થયા છે.

રાજ્યમાં સૌથી વધુ કન્ફર્મ કેસ અમદાવાદમાં છે, જેનો આંકડો 38 છે. સૌથી વધુ 3 મૃત્યુ પણ અમદાવાદમાં જ થયા છે. આ ઉપરાંત, સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ અમદાવાદમાં 5 છે જે રાજ્યમાં સૌથી વધુ છે.

ગુજરાતમાં હવે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કાર્યક્રમ હેઠળ ચેપના અટકાવની કામગીરી કરી રહી છે. જે વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ નોંધાયા હોય તેવાં વિસ્તારોના ક્લસ્ટર બનાવવા માટે જીઆઇએસ મેપિંગનો સહારો લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જ આવાં 21 વિસ્તારોની ઓળખ કરી તેની ફરતે ત્રણ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને ક્લસ્ટર ઘોષિત કરાયાં છે.