અમદાવાદઃ આણંદ જિલ્લાના કરમસદના મૂળ વતની અને ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી રોહિતભાઇ જશુભાઇ પટેલનું ૬૮ વર્ષની ઉમરે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. નોંધનીય છે કે, રોહિત પટેલ તા. ૧૫ ઓકટોબરે કોરોનામાં સપડાતા કરમસદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને કોરોનાથી ઉગરતા તેઓ નોન કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહ્યા હતા. પૂર્વ ધારાસભ્યની અણધારી વિદાયથી રાજકીય વર્તુળમાં શોકની લાગણી જન્મી છે.


રોહિત પટેલ ભાજપ સરકારમાં રાજ્યકક્ષાના ઉદ્યોગ અને ખાણખનીજ મંત્રી હતા. ભાજપે આઠ બેઠકોની પેટાચૂંટણીમાં વિજય મેળવીને આનંદની ઉજવણી કરી ત્યારે જ ભાજપ માટે તેના એક સિનિયર નેતાના અવસાન અંગેના માઠા સમાચાર આવતા આગેવાનો, કાર્યકર્તાઓ શોક વ્યક્ત કરી રહ્યા છે.

પૂર્વ મંત્રી રોહિત પટેલના નિધનને લઈ ભાજપના આગેવાનો શોક વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી કહ્યું હતું કે, 'ઔદ્યોગિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર, સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ મંત્રી શ્રી રોહિતભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.'

આણંદના કરમસદના રહીશ રોહિતભાઇ જશુભાઇ પટેલ વર્ષ-૨૦૧૪માં ભાજપમાંથી આણંદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લડયા હતા અને વિજેતા થતાં તેમણે રાજ્ય સરકારમાં ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી હતી.

નોંધનીય છે કે રોહિત પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા અને લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યના ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને રહેવા, જમવાની વ્યવસ્થા કરી અને વતન પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.