ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં કોરોનાનો (Gujarat Corona Cases) કહેર જોવા મળી રહ્યો છે. શહેરની સાથે સાથે હવે ગામડમાં પણ સ્થિતિ બગડી રહી છે. બીજી લહેરમાં કોરોનાના (Coronavirus Second Wave) કેસ વધવાની સાથે સાથે કોરોનાથી થનાર મોતની સંખ્યા પણ વધી છે. આ દરમિયાન આજે અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ (Vijay Nehra) મોટું નિવેદન આપ્યું છે.


વિજય નહેરાએ કહ્યું, દેશમાં આવનારા સમયમાં ગામડાઓમાં કોરોનાના કેસ વધવાની પૂરી શક્યતા છે. 15,000થી વધારે કોવિડ કેર સેન્ટર હાલ બની ચુક્યા છે. એક લાખ કરતાં બેડની સુવિધા ગામડામાં હાલ તૈયાર છે. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને સર્વેલંસ અત્યંત જરૂરી છે. ઘરમાં સંક્રમણ વધારે ફેલાઇ રહ્યું છે.

 ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર 36 જેટલા ગામડાનો અભ્યાસ કરવામાં આવ્યો છે જે અનુસાર ભાવનગર, વડોદરા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં છેલ્લા 90 દિવસમાં 976 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.


ભાવનગર જિલ્લાના ચાર ગામોમાં 50 દિવસમાં જ 225 મોત થયા છે. સૌથી વધુ મોત 13 હજારની વસ્તી ધરાવતા યોગઠ ગામમાં નોંધાયા છે. જ્યાં ગત 20 દિવસમાં આશરે 90 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ જ સ્થિતિ રંધોળા ગામની છે. આશરે 10 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં બે મહિનામાં 70 લોકોના મોત નિપજ્યાં છે. આશરે 13 હજારની વસ્તી ધરાવતા ઉમરાળા ગામમાં પણ અત્યાર સુધી 30 લોકોના મોત નોંધાયા છે.


ભાવનગર જિલ્લાના ચોગઠમાં 90, ઉમરાળામાં 35, લીમડામાં 30 અને રંધોળામાં 70 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટના આંબરડી ગામે 15 દિવસમાં જ 49 લોકોના મોત થયા છે. જિલ્લાના દેરડી કુંભાજી અને મોટીમારડમાં અનુક્રમે 30 અને 45ના મોત થયા છે.


ગીર સોમનાથની વાત કરીએ તો કોડીનાર તાલુકાના દેવલીમાં એક મહિનામાં 22 લોકો મોતને ભેટ્યા હતા તો ડોલાસામાં એક મહિનામાં 45 મોત થયા હતા. ગામના લોકોનું કહેવું છે કે ટેસ્ટ કીટના અભાવે સંક્રમણનો ફેલાવો પામી શકાતો નથી.