વઢવાણઃ સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર કોઠારીયા નજીક આવેલ પેપર મીલ પાસે કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.


આ અંગેની મળતી વિગતો પ્રમાણે લખતરનો પ્રજાપતિ પરિવાર ભગુડા મા મોગલના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે કોઠારીયા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાઇ હતી, જેમાં 3 મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઇજા થઈ છે.

તમામ મૃતકોની લાશને કારમાંથી બહાર કાઢી પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કારને કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. વઢવાણ અને લખતર પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ
નવીનભાઈ પ્રજાપતિ ઉં.વ. 45
વર્ષાબેન પ્રજાપતિ ઉં.વ.37
જાનવીબેન પ્રજાપતિ ઉં.વ.18
લલિતાબેન પ્રજાપતિ