ગોધરા: ગોધરા તાલુકાના રામપુરા કાંકણપુર ગામનાં ચાર યુવકો 7 ડિસેમ્બરે ઈકો કાર લઈને સૌરાષ્ટ્રનાં પ્રવાસે ગયા હતાં. આ લોકો ઘરેથી રાતે આઠ વાગ્યાની આસપાસ નીકળ્યાં હતાં. વિરપુર પહોંચ્યાં હતાં ત્યાર બાદ પરિવારને આ લોકોનો સંપર્ક થયો ન હતો.


પરિવારને બે દિવસથી યુવાનોનો સંપર્ક ન થતાં પોલીસની મદદ લીધી હતી. જેમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે, સોમવારે વહેલી સવારે જૂનાગઢ પાસેની નદીમાં કાર ખાબકી હતી. ઈકો કાર જૂનાગઢ મેંદરડા રોડ પર આવેલ ખડપીપળી ગામ પાસે એક નદીમાંથી મળી આવી હતી. કાર નદીના પાણીમાં ફસાઈ જતાં ચારેય યુવાનોનાં મોત નિપજ્યાં હતાં.

ડો.સુરેશ પટેલે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, એક નદીમાં શંકા જતાં તપાસ કરતા યુવાનોનાં મૃતદેહ મળ્યા હતાં. ઈકો કાર જૂનાગઢ મેંદરડા રોડ પર આવેલ ખડપીપળી ગામ પાસે એક નદીમાંથી મળી આવી હતી.

કેશોદનાં ડીવાયએસપી જે.વી ગઢવીએ આ અંગે જણાવ્યું હતું કે, મહમદપુરાગામનાં પુલિયામાં ગઈકાલે સવારનાં પાંચ વાગ્યાની આસપાસ તેઓ જ્યારે જૂનાગઢથી આવતા હતા ત્યારે તેમની ગાડી આ પુલિયામાં ઉતરી ગઈ હતી.