ગાંધીધામઃ લિવ ઇનમાં રહેતા યુવકે યુવતી અને તેની 13 વર્ષીય દીકરીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ગત 12મી ફેબ્રુઆરીએ યુવકે પ્રેમિકા અને તેની પત્નીને કીડાણા લઈ જઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પછી બંનેની લાશો ગટરમાં ફેંકી દીધી હતી. પોલીસ તપાસ દરમિયાન 13 વર્ષીય સગીરાની લાશ મળી આવી છે. જોકે, પ્રેમિકાની લાશ હજુ સુધી મળી આવી નથી.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટ 41 વર્ષીય રજિયા ઉર્ફે સીમરન સાથે વર્ષ 2008-09થી ગાંધીધામ ખાતે લિવ-ઇન કરારથી રહેતો હતો. યુવક સિમરનની બે પુત્રીઓનો પાલક પિતા હતો. ગત 12મીએ ફેબ્રુઆરીએ કીડાણાના જંગલમાં કાચબા લેવા જવાનું કહીને આરોપી રજિયા અને 13 વર્ષીય સોનિયાને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો.

કીડાણા પહોંચેલા આરોપીએ માતા-પુત્રીને ધોકાના ઘા મારીને ત્યાં જ પતાવી દીધા હતા. તેમજ બંનેની લાશો ગટરમાં ફેંકી દીધી હતી. આ અંગે સીમરનની અન્ય દીકરી સરોજ ઉર્ફે રેશ્માએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ હત્યા કેસમાં તપાસ કરતાં માતા-પુત્રની લાશ 14 કિ.મી. લાંબી ગટરમાં ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. કીડાણાની ગટરમાં તપાસ હાથ ધરતા ગઈ કાલે સાંજે 13 વર્ષિય સોનિયાની લાશ કોસેઝના લાલ ગેટ પાસેથી મળી આવી હતી. જોકે, હજુ યુવતીની લાશનો કોઈ પત્તો લાગ્યો નથી.