Congress, Sabarkantha Lok Sabha: ગુજરાતમાં રાજકીય ગરમાગરમી વચ્ચે કોંગ્રેસ પણ હવે લોકસભા ચૂંટણીને લઇને એક્શનમાં આવી છે. હાલમાં જ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, કેટલાક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ પક્ષ છોડીને કેસરિયા ધારણ કરી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ હાઇ કમાન્ડે ગુજરાતમાં લોકસભા કૉ-ઓર્ડિનેટરની નિમણૂંક કરવાની શરૂ કરી દીધી છે. આ અંતર્ગત આજે સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે કૉ-ઓર્ડિનેટરની જવાબદારી કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીને સોંપી છે. 


લોકસભા ચૂંટણીને લઇને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે. તાલુકા અને જિલ્લામાં પોતાની વૉટ બેન્ક મજબૂત કરવા માટે પ્રયાસમાં લાગી છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાતમાં ધારાસભ્યોને લોકસભા માટે ખાસ જવાબદારી સોંપવાની શરૂઆત કરી છે, આજે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને સાબરકાંઠા લોકસભા બેઠક માટે કૉ-ઓર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી છે. કાંતિ ખરાડી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સામેલ છે, કાંતિ ખરાડી બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભા બેઠક પર સતત ૩ વખત ચૂંટાયા છે, અને ધારાસભ્ય છે. 


ઉલ્લેખનીય છે કે, હાલમાં સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ પાસે છે, છેલ્લા ત્રણ ટર્મથી સાબરકાંઠા બેઠક પર ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે, અને આ વખતે પણ બેઠકને સાચવવા માટે બીજેપીએ પ્રયત્નો શરૂ કરી દીધા છે. 


વર્ષ 2009માં સાબરકાંઠા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મહેન્દ્રસિંહ ચૌહાણ જીત્યા હતા, જેમને દિગ્ગજ કોંગ્રેસી નેતા મધુસુદન મિસ્ત્રીને હરાવ્યા હતા. આ પછી વર્ષ 2014માં ભાજપના દીપસિંહ રાઠોડે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાને હરાવીને બેઠક સાચવી હતી. વર્ષ 2019માં ગઇ ટર્મમાં ફરી એકવાર ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે બેઠક સાચવી રાખી હતી, દીપસિંહ રાઠોડે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને હરાવ્યા હતા. ભાજપ માટે સાબરકાંઠા બેઠક ગઢ સમાન બની ગઇ છે. જોકે, આ ચૂંટણી માટે કોંગ્રેસ અને બીજેપી બન્નેએ પ્રયાસો શરૂ કર્યા છે.


ગુજરાતના 40 લાખ યુવા મતદારને આકર્ષવા જાણો બીજેપીએ શું બનાવી રણનીતિ ? 


લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાનો સંકલ્પ કર્યા બાદ ભાજપે તે માટેની કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 40 લાખ જેટલા યુવા મતદારો છે. આ તમામ મતદારો ભાજપ તરફી મતદાન કરે તો 5 લાખની સરસાઇ મેળવવામાં સરળતા રહે અને એટલા માટે યુવાઓને રીઝવવાની જવાબદારી ભાજપે યુવા મોરચાને આપી છે. યુવા મોરચાએ પણ જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતની અંદર 18થી 22 વર્ષના 25 લાખ જેટલા મતદારો છે અને 18થી 25 વર્ષના 40 લાખ જેટલા મતદારો છે. યુવા અને મહિલા મતદારોની સંખ્યા સૌથી વધુ છે. પરિણામે આ બંને મતદારોને આકર્ષવા ભાજપ વધુ મહેનત કરશે. ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવા યુવાઓને આકર્ષવા મહત્વના છે. પરિણામે આગામી ફેબ્રુઆરી માસમાં યુવાઓને આકર્ષવા ભાજપનો યુવા મોરચો અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.


યુવાઓને આકર્ષવા યુવા મોરચાની રણનીતિ 



  • માય ફર્સ્ટ વોટ ફોર મોદી 

  • યુવા અડ્ડા કાર્યક્રમ યોજાશે 

  • યુવા ચોપાલ કાર્યકર યોજાશે 

  • નુક્કડ ચર્ચા યોજાશે 

  • યુથ આઇકોનને વિકસિત ભારતના એમબેસેડર બનાવવા 


યુવા મોરચાના કાર્યકરો મોટા સંમેલન કરવાના બદલે 8-10 યુવાઓને મળશે અને તેમને સરકાર અને સંગઠનની કામગીરીની માહિતી આપી ભાજપને મત આપવા મનાવશે. પહેલો મત મોદીને આપવા માટે વિનવશે. આ તમામ કાર્યક્રમ યુવા મોરચા દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.


કેવી રીતે નક્કી થાય છે લોકસભા ચૂંટણીની તારીખ?


ભારતીય બંધારણની કલમ 324 મુજબ, ભારતનું ચૂંટણી પંચ ભારતમાં લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાની ચૂંટણીઓનું આયોજન કરે છે. બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરવામાં પણ કમિશન સર્વોચ્ચ ભૂમિકા ભજવે છે. લોકસભાના દરેક ગૃહનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને આ પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં નવી ચૂંટણીઓ યોજવી જોઈએ. પંચે લોકસભા ચૂંટણીની તારીખ એવી રીતે સુનિશ્ચિત કરવાની છે કે બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. ચૂંટણી પંચ પણ ચૂંટણીની તારીખ નક્કી કરતી વખતે અમુક સંજોગોને ધ્યાનમાં રાખે છે. ઉદાહરણ તરીકે, એવી તારીખ હોવી જોઈએ કે ચૂંટણીના દિવસે તે વિસ્તારમાં ખૂબ ગરમી કે વરસાદ ન હોવો જોઈએ જે મતદાનને અસર કરે. આવી તારીખ પસંદ કરવામાં આવે છે જેથી કોઈ રાજકીય પક્ષને ગેરવાજબી લાભ ન ​​મળે અને ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ શકે. આ સિવાય ચૂંટણી પંચ ધાર્મિક તહેવારો, રાષ્ટ્રીય રજાઓ, વિશેષ પરીક્ષાઓની તારીખો, સુરક્ષા દળોની ઉપલબ્ધતાને પણ ધ્યાનમાં લે છે.