પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર સાંજે 05.30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું હતું. પીએમ મોદીને આવકારવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેંદ્રની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. 


ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેંદ્ર પર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે યુવતીઓએ પીએમ મોદી પર પુષ્પ વર્ષા કરી હતી. આ પુષ્પવર્ષાએ પ્રધાનમંત્રીનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ તેઓ યુવતીઓ પાસે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ સાથે પીએમ મોદીએ તેમના સ્વાગત માટે પુષ્પવર્ષા કરતી યુવતીઓ ઉપર જ પુષ્પવર્ષા કરી હતી. પીએમ મોદીનો આ અંદાજ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.






PM નરેન્દ્ર મોદી આવતિકાલે બનાસ ડેરીના 600 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં બનેલા બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. અંદાજે રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ બનાસકાંઠા જિલ્લાના લોકો અને પશુપાલકો માટે એક મોટી ભેટ છે. તેનું કારણ એ છે કે, બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા છે અને આ પ્લાન્ટના નિર્માણ બાદ ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં તેઓ વધુને વધુ પશુપાલન કરીને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકશે. બનાસકાંઠા જિલ્લાના દરેક ગામમાં હાલ પશુપાલનનો ઉદ્યોગ વિકસ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ ખેતીની સાથે પશુપાલન પણ કરે છે અને હજારો લીટર દૂધ ડેરીમાં આપીને પોતાની આવકમાં વધારો કરે છે. બનાસ ડેરી બન્યા બાદ પશુપાલકો જેટલું દૂધ ડેરીમાં આપે છે એટલું તમામ દૂધ બનાસડેરી ખરીદે છે. જેના કારણે તેમની આવક પણ વધી રહી છે અને દૂધ પણ બગડતું નથી. છેલ્લા ઘણા વર્ષોમાં જોવા મળ્યું છે કે શિયાળાની ઋતુમાં બનાસ ડેરી રેકોર્ડ બ્રેક દૂધ ઉત્પાદન કરે છે. ત્યારે બનાસ ડેરીનો આ નવો પ્લાન્ટ દૂધની સ્ટોરેજ ક્ષમતામાં વધારો કરશે.